અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદી પણ હવે કોરોનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અમે નહીં પણ એક રિપોર્ટ કહી રહ્યો છે.
સાબરમતી નદીમાં મળ્યો કોરોના વાયરસ!
IIT ગાંધીનગર સહિત 8 સંસ્થાઓનો સર્વે
કાંકરિયા, ચંડોળા તળાવમાં પણ મળ્યા પાણીના નમૂના
IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ ગત વર્ષે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી લેવાયેલા સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સેમ્પલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદી ઉપરાંત કાંકરિયા અને ચંડોળાના પાણીમાંથી લેવાયેલા સેમ્પલમાં પણ કોરોના મળી આવ્યો છે.
પાણીમાંથી મળી આવ્યો વાયરસ
આ અધ્યયન બાદ પ્રાકૃતિક જળસ્ત્રોત અંગે પણ તપાસ કરીને ફરીથી અધ્યયન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પાણીમાંથી કોરોના મળતા એ સ્પષ્ટ થાય છે કે વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે. માટે દેશના તમામ પ્રાકૃતિક જળસ્ત્રોતની તપાસ કરવી જોઈએ.
માર્ચ સુધી ગુવાહાટીમાં કરી રહ્યા હતા તપાસ
સંશોધનકર્તાએ જણાવ્યું કે, સાબરમતીથી સંક્રમિત સેમ્પલ મળ્યા બાદ ગુવાહાટીમાં કામ શરૂ કર્યું હતું. માર્ચ સુધી અહીં સેમ્પલ અને તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન ભારુથી લેવામાં આવેલ નદીના સેમ્પલ સંક્રમિત મળ્યા હતા. જો કે, બ્રમ્હપુત્ર નદીને લઈને આશંકા ઓછી હતી.
તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ જરૂરી
મનીષના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લીધા બાદ તપાસ કરવામાં આવી અને તેમાં સંક્રમણ જોવા મળ્યું હતું. સાબરમતીમાં 694, કાંકરીયાથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સંક્રમિત જણાયા હતા.
શું કહ્યું નિષ્ણાતોએ ?
ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનીષ કુમારે જણાવ્યું કે, ગત વર્ષ સીવેજથી સેમ્પલ લઈને તપાસ કરતા તપાસ દરમિયાન કોરોનાની હયાતીની ખબર પડી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા છે, તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,018 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,03,122 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 7749 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 2,10,39,716 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,10,39,716 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,18,062 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 47 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 48 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 15 કેસ, જ્યારે ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 18 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે.