છોટાઉદેપુરના બોડેલીથી ટ્રાન્સફર થઈ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી દાખલ કોરોનાના દર્દીએ ICUની એક નાનકડી બારીમાંથી કૂદીને કર્યો આપઘાત
વડોદરામાં કોરોનાના દર્દીની આત્મહત્યા
સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળેથી દર્દીની છલાંગ
દર્દીના પરિવારનો હોસ્પિટલ પર મોટો આક્ષેપ
વડોદરામાં કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આપઘાત કરી લીધો છે. અને સારવાર દરમિયાન દર્દી છેલ્લા 2 દિવસથી એવું પણ કહી રહ્યા હતા કે, મને રજા જોઈએ છે. પણ ડૉક્ટરો તેમને રજા આપતા નથી. પોતાના પરિવારજનોને ફોન પર આ વાત કરતો હતો.
તો બીજી તરફ દર્દીના પરિવારે હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારે કહ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી હોસ્પિટલ દર્દી અંગે કોઇ માહિતી આપતી નહોતી. દર્દીનું નામ રતનભાઈ તડવી હતું. કે જેઓ છોટાઉદેપુરના બોડેલી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી ચૂક્યા હતા. પરંતુ વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પહોંચ્યા હતા. મહત્વનું છે કે, રતનભાઈને ડાયાબિટીસ અને ટીબીની પણ બીમારી હતી.
આપઘાતને લઈ અનેક સવાલો
રતનભાઈના આપઘાતની જાણ થતા પરિવારને સૂચના આપવામાં આવતા દોડી આવ્યા હતા. મૃતક રતનભાઈ GEBમાં નોકરી કરી રહ્યા હતા. અને બોડેલીથી ટ્રાન્સફર કરીને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. અને સવારે ICUની એક નાનકડી બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારે એક કોરોના દર્દી નાનકડી બારીમાંથી કૂદીને આપઘાત કર્યો છે. તે વાત પર સવાલ ઉભા થઈ રહ્યા છે.