કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ
શું દેશમાં દિવાળી ટાંણે ફરીથી વધશે કોરોનાના કેસ ?
ભારતમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટની એન્ટ્રી બાદ નિષ્ણાંતોની સલાહ
નિષ્ણાતોની કોવિડ-19થી દૂર રહેવા માટે સાવચેતી રાખવાની સલાહ
દેશમાં દિવાળી ટાંણે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ તરફ મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોએ પણ વધતા કેસોને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેરકરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં કોવિડના 150 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા પાંચ દિવસમાં દરરોજ સરેરાશ 10 લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. શુક્રવારે, રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 178 મુંબઈમાં હતા. મહારાષ્ટ્રમાં કોવિડના નવા XBB સબ-વેરિઅન્ટનો એક દર્દી પણ મળી આવ્યો છે. આ કારણોસર નિષ્ણાતો સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે, દિવાળી પહેલા અને પછી તહેવારની ઉજવણી દરમિયાન બજારોમાં ભીડને કારણે કોરોનાના કેસ વધી શકે છે.
મુંબઈના સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે, શિયાળામાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. તેઓ મુંબઈમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીના કેસ પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે તે પણ એક ચેપી રોગ છે. જે છીંકથી અન્ય લોકોમાં ફેલાઈ શકે છે. બની શકે કે કેટલાક લોકો તેને સામાન્ય-શરદી ખાંસી માનીને કોરોના ટેસ્ટ ના કરાવે પરંતુ ત્યાં સુધી બીજા લોકો સુધી પણ આ વાયરસ પહોંચી શકે છે. નિષ્ણાતોએ કોવિડ-19થી દૂર રહેવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
મુંબઈમાં કોવિડ ટાસ્ક ફોર્સનો ભાગ રહેલા ડૉ. રાહુલ પંડિતના જણાવ્યા અનુસાર, સંક્રમણની સંખ્યામાં વધારો અને ઘટાડો છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યો છે. કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ. જો પરિવારમાં કોઈ બીમાર હોય અથવા તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તો તેને માસ્ક પહેરવાની સલાહ આપો.
શું કહ્યું આરોગ્ય અધિકારીએ ?
આ તરફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થા ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને કોવિડ માટે ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) ધરાવતા દર્દીઓનું ઝડપથી પરીક્ષણ કરી રહી છે, જેમાં પરીક્ષણ અને સારવાર સામેલ છે. આ સાથે તમામ હોસ્પિટલોમાંથી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જો કોઈનો સેમ્પલ પોઝિટિવ આવે છે, તો તેના જીનોમ સિક્વન્સિંગ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.