કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે વિવાદ સર્જાયો છે. ઓછી લીડ મામલે બંને નેતાઓને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પેટાચૂંટણીમાં ભાજપને 20 હજારથી વધુ મતથી જીત મળી હતી. જ્યારે લોકસભાની ચૂંટણીમાં જસદણમાંથી માત્ર 2800ની લીડ મળતા સમગ્ર મામલો હાઈકમાન્ડ પાસે પહોંચ્યો હતો.
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ વિસ્તારમાં ઓછી લીડ મળતા બન્ને નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. જસદણ વિસ્તારમાં મતદાન પણ નબળું પડ્યું હતું. જેના કારણે કુંવરજી બાવળિયા એઅને ભરત બોઘરાએ આમને સામને આક્ષેપો કર્યા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બોઘરા જેવા સિનિયર નેતાઓએ ઓછો રસ લેતા આવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ભરત બોઘરાએ કહ્યું હતું કે નબળી લીડના જવાબદાર કુંવરજી બાવળિયા છે અને તેમના જ ગામમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે અને ભાજપને કુલ 12000 મતોનું નુકસાન થયું છે, જ્યારે બોઘરાની જવાબદારી વાળા વિસ્તારોમાં ભાજપને 14000 મતોની લીડ મળી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાનું ટેલિફોનિક નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પક્ષનો આંતરિક મામલો છે. બંનેને એકસાથે બોલાવી સમાધાન કરાવી લેવાશે. જ્યારે મંત્રીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે તે અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે ડો. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા બંનેનુ રાજકારણ કોંગ્રેસથી શરૂ થયું હતું. કુંવરજી બાવળિયાની ચૂંટણીમાં બોઘરા જ જવાબદારી સંભાળતા હતા. બંને વચ્ચે વિવાદ થતા બોઘરા ભાજપમાં જોડાયા હતા અને તેમની સામે જ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણીમાં બાવળિયાની હાર થઇ અને બોઘરા જસદણના ધારાસભ્ય બન્યા હતા ત્યારથી આ બંને આમને સામને થઇ ગયા હતા.