રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા મુદ્દે દિલ્લીમાં કોંગ્રેસ મહત્વની બેઠક કરશે.
કોંગ્રેસની બેઠક
રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળવાની છે. સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ ખડગે સહિતના આ બેઠકમાં હાજર રહેશે. રાહુલ ગાંધીના સભ્યપદ રદ થવા મુદ્દે રણનીતિ ઘડશે તેમજ જેને લઈ વિવિધ મુદ્દે કોંગ્રેસના આગેવાનો ચર્ચા પણ કરશે
કેમ ગઈ સદસ્યતા?
કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2023
એવું તો કયું નિવેદન હતું જેમાં થઈ હતી સજા?
વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન 'મોદી અટક' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર જ ચોર છે'નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં 'મોદી અટક' સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી ઓક્ટોબર 2021માં સુરત કોર્ટમાં તેમનું નિવેદન નોંધવા હાજર થયા હતા.
ભૂતકાળના કિસ્સાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ યાદીમાં ઘણા એવા નામ છે જેમણે કોર્ટ દ્વારા દોષિત જાહેર કર્યા બાદ વિધાનસભા અથવા સંસદની સભ્યતા ગુમાવી દીધી છે.
મોહમ્મદ ફૈઝલ - હત્યાનો પ્રયાસ
આ વર્ષે 13 જાન્યુઆરીએ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની સદસ્યતા રદ કરવામાં આવી હતી. હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપ સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટના નિર્ણયના બે દિવસ બાદ જ લોકસભા સચિવાલયે તેમને સંસદમાંથી બહારનો રસ્તો બતાવતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જોકે, બાદમાં કેરળ હાઈકોર્ટે સેશન કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સભ્યપદ રદ થયા બાદ ચૂંટણી પંચે 27 ફેબ્રુઆરીએ અહીં પેટાચૂંટણી યોજી હતી.
આઝમ ખાન- 2019 હેટ સ્પીચ કેસ
આઝમ ખાન દોષિત ઠેરવ્યા પછી ગૃહમાંથી બહાર ફેંકવામાં આવેલા નેતાઓમાંનો એક છે. જેઓ 27 ઓક્ટોબર 2022 ના રોજ 2019 ના હેટ-સ્પીચ કેસમાં દોષી સાબિત થયા હતા. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનને રામપુર એમપી-એમએલએ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિશાંત મોહન દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના એક દિવસ બાદ યુપી વિધાનસભા સચિવાલયે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. બાદમાં તેને જેલમાં પણ જવું પડ્યું હતું. એટલું જ નહીં આઝમ વિરુદ્ધ ડઝનબંધ અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં તેને અલગ-અલગ ચુકાદાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આઝમ ખાન રામપુરથી ધારાસભ્ય હતા.
લાલુ પ્રસાદ યાદવ - ઘાસચારા કૌભાંડ કેસ
લાલુ યાદવ પણ તેમની સદસ્યતા ગુમાવનારા નેતાઓની યાદીમાં સામેલ છે, જેઓ સેંકડો કરોડના ચારા કૌભાંડના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવને રાંચીની સીબીઆઈ કોર્ટે 3 ઓક્ટોબર 2013ના રોજ દોષિત ઠેરવ્યા હતા. ચારા કૌભાંડના મામલામાં તેમની સામે અનેક FIR નોંધવામાં આવી હતી. દોષિત ઠર્યા બાદ 2 ઓક્ટોબરે જારી કરાયેલ સંસદીય સૂચનામાં તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. લાલુ યાદવ બિહારના સારણથી લોકસભા સાંસદ હતા.
વિક્રમ સૈની - મુઝફ્ફરનગર રમખાણ કેસ
મુઝફ્ફરનગર રમખાણ કેસમાં મુઝફ્ફરનગર રમખાણ કેસમાં દોષિત જાહેર થયા બાદ ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ વિધાનસભાની સદસ્યતા ગુમાવી દીધી છે. 2013ના રમખાણોમાં તેની ભૂમિકા માટે મુઝફ્ફરનગરના સાંસદ-ધારાસભ્ય અદાલત દ્વારા તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2022 માં યુપી એસેમ્બલીએ ખતૌલી વિધાનસભાની ખાલી જગ્યા માટે એક જાહેરનામું બહાર પાડ્યું, જ્યાંથી તેઓ ધારાસભ્ય હતા.
રાહુલ ગાંધીનો વિવાદો સાથે જૂનો નાતો
1. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. 1938 માં એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ નામની કંપનીની રચના કરવામાં આવી, જેણે નેશનલ હેરાલ્ડ અખબાર બહાર પાડ્યું. આ કારણે કંપનીને ઘણા શહેરોમાં સરકાર પાસેથી સસ્તા દરે જમીન મળી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપ હતો કે તેઓએ યંગ ઈન્ડિયા લિમિટેડ નામની કંપની બનાવી હતી, જેનો હેતુ બિઝનેસ કરવાનો ન હતો, પરંતુ તેઓ એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ (AJL)ને ખરીદવા અને તેની રૂ. 2,000 કરોડની સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર કરવા માગતા હતા.
2. ભારત જોડો યાત્રા દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના થાણે શહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. શિંદે જૂથના નેતા વંદના ડોંગરે દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પર અપમાનજનક નિવેદનો કરીને નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) અને 501 હેઠળ કેસ નોંધ્યો હતો.
3. મુંબઈની મઝાગોન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2019માં આપેલા સોગંદનામા મુજબ તે આ કેસમાં આઈપીસીની કલમ 406 હેઠળ આરોપી છે. મામલો ગુનાહિત વિશ્વાસભંગનો હતો. સુપ્રીમ કોર્ટના એડવોકેટ કુમાર સાનુએ કહ્યું કે કોઈએ ટ્રસ્ટ સાથે સમજૂતી કરી અને પછી સામેના વ્યક્તિએ એવું કામ કર્યું, જેના કારણે તે વિશ્વાસ તૂટી ગયો. તો આવા કેસમાં આઈપીસીની કલમ 406 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
4. કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતે કૉપિરાઇટ ઉલ્લંઘન માટે બેંગલુરુમાં MRT મ્યુઝિક કંપની દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. કંપનીનો આરોપ છે કે ફિલ્મ KGF ચેપ્ટર 2 ના ગીતનો ઉપયોગ ભારત જોડ યાત્રા દરમિયાન કરવામાં આવ્યો છે. આ કેસ ગયા વર્ષે નવેમ્બરમાં નોંધાયો હતો. જો કે ડિસેમ્બરમાં કર્ણાટક હાઈકોર્ટે કેસની સુનાવણી કરતા એફઆઈઆર બાદ તપાસ પર રોક લગાવી દીધી હતી. આઈપીસી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને કોપીરાઈટ એક્ટ 1957 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ કેસો 2018 માં રાહુલ ગાંધી વિરુદ્ધ રાંચીની સબ-ડિવિઝન કોર્ટમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તેના પર IPCની કલમ 499 અને 500 પણ લગાવવામાં આવી હતી. રાહુલ ગાંધી પર 2016માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પણ બનાવટી અને વિશ્વાસભંગનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તેના પર કલમ 406, 403, 420 અને 120Bનો પણ આરોપ હતો. આ સિવાય 2014માં મહારાષ્ટ્રના ભિવંડી અને 2016માં આસામના ગુવાહાટીમાં પણ રાહુલ ગાંધી પર IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
BJPએ OBC અપમાનનો મુદ્દો આગળ કર્યો
નોંધનીય છે કે બીજેપી ચીફ જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કહ્યું હતું કે"રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની છે. પોતાના રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ સમગ્ર OBC સમાજનું અપમાન કરતાં તેમને ચોર કહ્યા હતા. સમાજ અને કોર્ટ દ્વારા વારંવાર સમજાવવા અને માફી માંગવાના વિકલ્પની પણ એમને વારંવાર અવગણના કરી અને OBC સમુદાયની લાગણીઓને સતત ઠેસ પહોંચાડી." આ બાદ એમને બીજા ટ્વીટમાં લખ્યું હતું કે"...ફિર ચોકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો જેના પર મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ આ નારા પર જનતા જનાર્દનની અદાલતે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સખત ઠપકો આપ્યો હતો અને કોંગ્રેસે ખરાબ હારનો સામનો કરવો પડ્યો."