છેલ્લા કેટલાક દિવસથી કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા ઉઠી રહી છે કે શું આ નેતા ભાજપમાં જોડાવાના છે? કારણ કે અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાએલ ધારાસભ્ય ભાજપના નેતાઓના મોંફાટ વખાણ કરે છે અને જાહેરાતમાં ફોટા પણ મૂકે છે.
જાહેરાતમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સાથે ફોટા મૂકતા વિવાદ
ભુજમાં મેઘલાડુ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કર્યા હતા મોંફાટ વખાણ
વડાપ્રધાન જન આરોગ્ય યોજના ના ઉત્સવમાં ગાંધીનગર પહોચ્યા હતા પ્રદ્યુમનસિંહ
અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ફરી ભાજપ પ્રેમ સામે આવ્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર અને ભાજપ નેતાનો આભાર માનતી એક જાહેરાત આપી છે. જેમાં પોતાના વિસ્તારના રોડના કામને લઇ સરકારનો આભાર માન્યો. ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલ પ્રદ્યુમનસિંહ જાડેજાની છાપ આમ તો પ્રજાના નેતાની છે પણ તેમના વારંવારના ભાજપ પ્રત્યેના આભારી વલણને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ક્યાંક તે ફરીથી ઘર વાપસીની જેમ ભાજપ તો જોઈન નથી કરી રહ્યાને?
જાહેરાતમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સાથે ફોટા મૂકતા વિવાદ
જાહેરાતમાં પોતાના ફોટો સાથે વિજય રૂપાણી અને નીતિન પટેલનો પણ ફોટો મૂક્યો. ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જઇ રહ્યાં હોવાની ચર્ચાને લઇ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી. તેઓએ કહ્યું કે, સરકાર કામ કરશે તો સરકાના વખાણ કરીશું. અમે ગાંધીનગર રજૂઆત કરવા જઇએ છીએ જે લોકો ન આવ્યા તે તેમની વિચારધારા છે. હું પહેલા પણ રોડ-રસ્તા માટે ઉપવાસ પર બેઠો હતો અને જો સરકાર કામ કરશે તો વખાણ કરીશ. તેમાં ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અને જાહેરાત આપવાથી મને કોંગ્રેસ તરફથી કોઇ ઠપકો નથી મળ્યો.
અગાઉ પણ વડાપ્રધાન જન આરોગ્ય યોજના ના ઉત્સવમાં ગાંધીનગર પહોચ્યા હતા પ્રદ્યુમનસિંહ
વડાપ્રધાન જન આરોગ્ય યોજનાને એક વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે ઑડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીનગર કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાની સૂચક હાજરીથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સરકારના કાર્યક્રમમાં કૉંગ્રેસના આ બંને ધારાસભ્યોની હાજરીથી એવી વાત વહેતી થઇ કે, તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જોકે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાવવાના નથી અને એમ જણાવ્યું કે, સરકારી કાર્યક્રમ હોવાથી તેઓ આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.
ભુજમાં મેઘલાડુ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કર્યા હતા મોંફાટ વખાણ
પ્રદ્યુમનસિંહ જાડેજાએ તાજેતરમાં ભુજ ખાતે મેઘલાડુ મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુષ્કાળના દિવસોમાં કરેલી કામગીરીના મ્હોંફાટ વખાણ કરતા સૌનું ધ્યાન ખેંચાયું હતું.
પ્રદ્યુમનસિંહ જાડેજાને લખતા વાંચતા નથી આવડતુ
લખતા-વાંચતા ન આવડતું હોવા છતાં પ્રજામાંથી લોકપ્રિય પ્રહરી તરીકે ભાજપના પ્રચંડ વેવમાં પણ 10 હજારથી વધુ મતે કોંગ્રેસની સીટ પરથી ચુંટાયેલા પ્રદ્યુમનસિંહની છાપ પ્રજાની પડખે રહેનારા નેતાની છે.
ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં કર્યો હતો પ્રવેશ
અગાઉ જીલ્લા પંચાયતની કારોબારી કમીટીના ચેરમેન હતા ત્યારે તેઓ ભાજપમાંથી પંચાયતની ચુંટણી લડતા હતા. ત્યારે પણ પ્રજાકીય પ્રશ્નોને વાચા નહિ મળ્યાના મુદ્દે સ્થાનીક ધારાસભ્ય સામે વિરોધ હોવાથી તેમણે ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં પ્રવેશ લીધો હતો અને ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા.
ચિત્ર શૈલીથી કરે છે રજૂઆત
પોતાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં રજુ કરવા તેઓ અનોખી શૈલીમાં તૈયારી કરે છે. વાંચતા-લખતા આવડતુ ન હોવાથી જુદી જુદી ફરીયાદો અને પ્રશ્નો યાદ રાખવા તેઓ ચિત્ર શૈલી અપનાવે છે અને ચોટદાર રીતે વિધાનસભામાં રજૂ કરે છે. આ શૈલીને પણ અગાઉ દરેક લોકોએ વખાણી હતી. તેમની હકારાત્મક વિચારધારા વર્તમાન નેતાઓ માટે મિશાલ રૂપ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાની માફક દરેક ધારાસભ્ય કે સંસદસભ્ય પોતાના વિસ્તારના કાર્યો પરત્વે સજાગ રહે તો પ્રજાનો બેડો પાર થઇ જાય તેવી તેમની ઈમેજ સામે હાલ ભાજપ ઉપરના પ્રેમને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે.