વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કેટલાક આક્ષેપો કર્યા હતા. આજે રાજ્યમાં કથળેલી શિક્ષણની સ્થિતિને લઇ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તો થોડા દિવસ અગાઉ ગૃહમાં તેમણે મોરબી-માળિયા કેનાલના કામોને લઇને કેટલાક સવાલ કર્યા હતા.
શિક્ષણની સ્થિતિને લઇ કર્યા આક્ષેપ
શિક્ષકો પાસે કરાવાય છે ક્લાર્કનું કામ
ધો.1 થી 5માં 200 વિદ્યાર્થી વચ્ચે 1 શિક્ષક
કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકાર પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે શિક્ષકો શિક્ષણકાર્યને બદલે ક્લાર્કનું કામ કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ દાવો કર્યો કે ધોરણ 1થી 5માં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક ફરજ બજાવી રહ્યો છે. જેની વિદ્યાર્થીઓના ભાવી પર માઠી અસર થઇ રહી છે. શિક્ષકોની ભરતી ન થતા શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાનો પણ દાવો કર્યો હતો.
મહત્વનું છે કે, સરકારી અને ખાનગી શાળાઓ પાસે પુરતી સંખ્યામાં શિક્ષકો જ નથી. ત્યારે શિક્ષકોને ભણાવવા સિવાયની અન્ય જવાબદારીઓ સોંપાતી હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે. જેનો શિક્ષકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
નર્મદા અંગે કોંગ્રેસના સવાલનો DyCMએ આપ્યો હતો જવાબ
થોડા દિવસ અગાઉ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સવાલ કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર નર્મદે સર્વદેની વાતો કરે છે. તો મોરબી અને માળિયા કેનાલના કામ કેમ બાકી છે? તો તેના સવાલનો જવાબ આપતા DyCM નીતિન પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ઘોર ખોદી છે. કોંગ્રેસની સરકારે નમર્દાના કામમાં રોડાં નાખ્યા છે. 25 વર્ષ પહેલાં જે પાણી જતું રહ્યું તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દરવાજાની મંજૂરી ન મળે તેમાં સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો હાથ છે.