ભાવનગર: આજે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના આગ્રણીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં મહુવા, શિહોર અને પાલીતાણાના કોંગ્રેસના કેટલાક આગેવાનોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
મહુવા નગરપાલિકાના કોંગ્રેસના અગ્રણી અને મહુવા નાગરિક બેંક જેવી અનેક સંસ્થા સાથે જોડાયેલ ભરત ઠાકર તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા - મહુવાના નગરપાલિકાના પૂર્વ સ્ટન્ડિંગ ચેરમેન કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયા હતા. તેમજ શિહોર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અમૃતભાઈ રાઠોડ અને મહુવા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાણાભાઈ મકવાણા તેમજ પાલીતાણા વિધાનસભાના યુથ કોંગ્રેસના 40 કાર્યકર જોડાયા હતા.
આજે મહાનુભાવોના હાથે ભાજપના ખેસ ધારણ કર્યા હતા. આ સંમેલનમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા અને મનસુખ માંડવીયાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે એટલે લાગે છે કે કોંગ્રેસે પાકિસ્તાનમાં જઇને ચૂંટણી લડવી જોઈએ. કદાચ ત્યાં તેને વિજય મળી શકે. બીજી બાજુ ભાજપના અગ્રણી મહેશ કાસવાળાએ આ વિજય સંકલ્પ સંમેલનથી ભાજપની જીત અત્યારથી જ નિશ્ચિત છે તેમ જણવ્યું હતું.