બોર્ડની પરીક્ષા પહેલા અને પેપર લખતી વેળાએ પરીક્ષાર્થીઓ-વાલીઓ માટે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ માર્ગદર્શન આપતી ફેસબુકમાં પોસ્ટ કરી.
ધો.10-12ની પરીક્ષા પહેલાં પરીક્ષાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન
કોંગ્રેસ નેતા મનીષ દોશીએ માર્ગદર્શન આપતી ફેસબુકમાં પોસ્ટ કરી
'પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી'
આગામી 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થી તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે જેને લઈ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ અગત્યનું માર્ગદર્શન આપતી ફેસબુકમાં પોસ્ટ કરી છે, પરીક્ષામાં જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તેમજ લેવાની કાળજી અંગે જરૂરી સુચનો આપ્યા છે.
પરીક્ષા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતો
મનીષ દોશીએ ફેસબુક પોસ્ટના પોસ્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતોમાં જણાવ્યું છે કે, પેપર પહેલા પેપર દરમિયાન હકારાત્મક અભિગન રાખો તેમજ પેપર સમય એટલે 11થી2 દરમિયાન સુવાની ટેવ હોય તો આ ટેવ બદલવી. પેપર લખતી વખતે બૈંચ હલતી હોય તો સુપરવાઝરને કહીને તાત્કાલિક પેકિંગ મુકાવવું, તેમજ ઘડિયાળ કાંડામાંથી કાઢીને સામે ગોઠવવી અને OMRમાં ઈશ્વર અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓ કે નિશાની કરવી નહીં, તેમજ OMRમાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી-ભૂરૂ બોલપેનનો ઉપયોગ કરવો
પરીક્ષા આપવા જતી વખતે શું કરવું
તેમણે વધુમાં માર્ગદર્શન આપ્યું છે કે, પેપર સેન્ટર પર મીનીમમ 30 મીનીટ પહેલાં પહોંચી જવું તેમજ પરીક્ષામાં બુટ-મોજા પહેરવા નહી, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગમાં અકળામણ ન થાય. પરીક્ષાની અડધો કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈ પણ વિચાર ન કરવા. દર વર્ષ અફવાઓ હોય છે કે, પેપર અઘરૂં છે, પેપર લાંબુ છે, ફલાણા સાહેબ કાઢ્યું છે, વગેરે બાબતોમાં રસ ન લેવો.
પરીક્ષા આપવા જતી વખતે આ ધ્યાન રાખજો
પેપર આપવા જતી વખતે રીસીપ્ટ, પેન, સંચો, રબર,ફૂટપટ્ટી જરૂરી હોય તો કંપાસ અને પાઉચ લઈને જવું. તેમજ મોબાઈલલ સાથે લઈ જવો નહી. ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુ શરબત લઈ જવું. પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત થાય ત્યારે ત્યાંથી મળતા પેંડા કે પીપરમેન્ટ ખાવા નહી.
વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
દોશીએ માર્ગદર્શક પોસ્ટમાં લખ્યું છે કે, 'બેસ્ટ ઓફ લક' કરવાવાળા આપણા હિતેચ્છુઓને શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીને મળવા ન દેવા. પોતાના સંતાનને ચશ્માં હોય તો બીજી જોડ તૈયાર રાખવી. પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી. ઘરનાં અન્ય સભ્યો આ સમયે ટીવી,ટેપ, રેડિયો ન વગાડે તે ધ્યાને રાખવું
ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.
14મી માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.