રાજ્યમાં મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ જ્યારે નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ત્યારે આ ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VTV News સાથે ખાસ વાતચીત કરી હતી.
VTV Newsના ચક્રવ્યૂહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત
આગામી ચૂંટણીઓ અને રણનીતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા
ગુજરાતના ખેડૂતો અને ખેડૂત આંદોલનને લઇને કેટલાક સવાલના આપ્યા જવાબ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રચાર વેગ પકડી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VTV Newsના ચક્રવ્યૂહ કાર્યક્રમમાં વાતચીત કરી હતી. ગુજરાતની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરાઇ ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સામસામે ટક્કર આપી રહ્યા છે. તો બીજી તરફ ઓવૈસી અને કેજરીવાલની પાર્ટી પણ ગુજરાતમાં લડવા આવી ચૂકી છે.
સવાલઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શું પ્લાન છે?
જવાબઃ ભાજપની રણનીતિ અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ વિકાસની રાજનીતિને કેન્દ્રસ્થાને લઇને ચૂંટણી લડે છે. ભાજપ પાસે નેતા, નીતિ અને નિયત શુદ્ધ છે. જ્યારે કોંગ્રેસ નેતૃત્વ વિહિન થઇ ચૂક્યું છે. નિયત તો ખારા ખોપરા જેવી છે. કોંગ્રેસ જનતામાં વિશ્વાસ સંપાદન નહીં કરી શકે. જનતાએ પંચાયતમાં કોંગ્રેસને તક આપી હતી, પરંતુ કોંગ્રેસે પક્ષપલટા, કકળાટ અને ભ્રષ્ટાચાર સિવાય કંઇ નથી કર્યું. 2015 અને આજની ચૂંટણી વિપરિત છે. 2017માં કોંગ્રેસે ઘણો પ્રયાસ કર્યો ગુજરાતની સામાજિક સમરસતાને તોડવાનો છતા લોકોએ ભાજપને તક આપી. 2019માં રાજ્યસભાની 26માંથી 26 બેઠકો જીતી હતી. 2020માં પેટાચૂંટણીમાં આઠેય બેઠકો જીત્યા હતા. જેમાં ડાંગ જેવી બેઠક પર 60 હજાર જેવી લીડ મળી છે. તો 2021માં પણ અમે કોંગ્રેસનો સફાયો કરી નાખીશું.
સવાલ: શહેરમાં ભાજપ છે પરંતુ ગામડું અમારું છે, કાંટાની ટક્કર આપીશું તેવો કોંગ્રેસનો દાવો
જવાબઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની પેટાચૂંટણી યોજાઇ તે તમામ ગ્રામ્ય કક્ષાની હતી. તમામ બેઠકો પર મોટી લીડથી કોંગ્રેસ હારી છે. માટે કોંગ્રેસ હારી તે તમામ ગામડા જ હતા.
સવાલઃ ભાજપે નવા ચેહરાને મદાને ઉતર્યા, તો શું જીત અપાવશે?
જવાબઃ નવા ચેહરા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, લોકો ભાજપને મત આપે છે અને લોકો ભાજપના નામે લડે છે. લોકો નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના નામે મત આપે છે. ભાજપે તો હિમ્મત કરી છે અને 60 વર્ષથી મોટી ઉંમરનાને ના પાડી છે અને 3 ટર્મ થઇ ગઇ છે તેને ના પાડી છે.
સવાલઃ શું સિનિયર અને અનુભવી નેતાઓને સાઇડલાઇન કરાયા?
જવાબઃ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમારી પાર્ટી કેડરની પાર્ટી છે. નવી કેડર ઉભી થાય તે માટે નિર્ણય કર્યો છે. ભાવનગરની સભામાં હું હાજર રહ્યો હતો ત્યાં તમામ ઉમેદવાર યુવાન હતા. પ્રજાને આ વાત ગમી છે અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આ વાતને સ્વીકારી છે એટલે તેમને અભિનંદન આપું છું. જોકે જૂની કેડરનો અમે ઉપયોગ કરીશું, અમે તેને રફેદફે નહીં થવા દઇએ.
સવાલઃ ભાજપમાં પરિવારવાદ? કેટલાક સગાને ટિકિટ આપી હોવાની ચર્ચા
જવાબઃ ટિકિટ ફાળવણી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમે તમામ સિનિયરને માન આપ્યું છે, પરંતુ ધારાસભ્ય કે સાંસદના પરિવારને એકપણ ટિકિટ નથી આપી. એટલે તો મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતા.
જવાબઃ ખેડૂત આંદોલનને લઇને ભાજપને ક્યાંકને ક્યાંક નુકસાન થતુ દેખાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપને નુકસાન થશે કે નહીં તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હરિયાણા-પંજાબમાં આંદોલનની અસર છે. ગુજરાતમાં કોંગ્રેસે ખુબ પ્રયાસ કર્યા, છતા એકપણ કાર્યક્રમ સફળ નથી થયો અને ખેડૂતો નથી જોડાયા. ગામડાઓમાં ખેડૂતોને લણણીથી લઇને વાવેતર સુધી સિક્યોર વ્યવસ્થા આપી છે. કોંગ્રેસે ખેડૂતો પાસેથી 15 ટકા વ્યાજ વસૂલ્યું અને અમારી સરકારે ઝીરો ટકા વ્યાજ કર્યું છે. ખેડૂત ખુશ છે. ખેડૂતને પાણી અને વીજળી જોઇએ. નર્મદા યોજના અમે પૂર્ણ કરી, 500 કિલમીટર દૂર દૂર સુધી પાણી પહોંચાડીયે. કિસાન સૂર્યોદય યોજના લાવ્યા જેમાં રાત્રે વીજળી નહીં દિવસે વીજળી. ખેડૂત રાત્રે વિશ્રામ કરશે દિવસે કામ કરશે. ખેડૂત ખુબજ ખુશ છે.
સવાલઃ ખેડૂત આગેવાનો કહી રહ્યા છે અમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે
જવાબઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે તેમણે જણાવ્યું કે, આ બધી વાતો ખોટી વાતો છે, તેની પ્રવૃત્તિઓ પર સરકાર નજર તો રાખતી જ હોય. પરંતુ સરકારે નિયમ બહાર કોઇ કામ નથી કર્યું.
સવાલઃ પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાયદો આવશે તો મરજીયાત હશે, શું ગુજરાતમાં કાયદો લાગૂ થશે?
જવાબ આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર જે કાયદો લાવે છે તે અમે ગુજરાતમાં લાગૂ કરીએ છીએ. કેન્દ્ર સરકાર જે કાયદો લાવશે તેને અમે લાગૂ કરીશું.
સવાલ: શું ઓવૈસી અને કેજરીવાલની પાર્ટી ભાજપ માટે પડકારરૂપ બનશે?
જવાબઃ આ અંગે રૂપાણીએ કહ્યું, ગુજરાતની જનતા બહુ શાણી છે, ડબલ પાર્ટી સિસ્ટમને સ્વીકારે છે. ભૂતકાળમાં અનેક ધૂરંધરો ચિમન પટેલે કિમલોપ, કેશૂભાઇ પટેલે જેપીપી, શંકરસિંહ વાઘેલાએ રાજપા કર્યું. તો એનસીપી ક્યારેક ક્યારેક જાગે છે. આમ આદમી પાર્ટી જવાબ તો આપે કે દિલ્હી જેવું શહેર, આજે કેટલું પ્રદુષણ છે, એના માટે શું કર્યું? દિલ્હીમાં 100 ટકા ઘરે ઘરે પાણી પહોંચે અને ગરીબો માટે યોજના શું કરી? કોરોનામાં પણ દિલ્હી ખુબ હેરાન થયું.
સવાલઃ ઓવૈસી ભાજપની બી ટીમના લાગી રહ્યા છે આક્ષેપ
જવાબઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે કહ્યું કે, કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમોને ખુબ છેતર્યા છે. હવે તેઓ જાગી ગયા છે. કોંગ્રેસના મત તૂટી રહ્યા છે. કોંગ્રેસની વેટ બેંક ખસેડાઇ છે. જેનો સૌથી મોટો ડર કોંગ્રેસને છે, ભાજપને નથી. કોંગ્રેસ ચિલ્લાચીલી કરે છે. અમારે કંઇ લાગતુ વળગતુ નથી. રાજકારણમાં શું થશે તે તો મતદાન બાદ જ ખબર પડે. કેજરીવાલ-ઓવૈસી તમામની ડિપોઝિટ જપ્ત થઇ જશે. અમે અમારી કામગીરીના આધારિત મત માંગવાના છીએ. ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જોડાયેલી છે. સતત 25 વર્ષથી ભાજપને મત આપ્યા છે.
સવાલઃ કોરોના દરમિયાનની કામગીરી અને આક્ષેપો ભાજપને નુકસાન કરશે?
જવાબઃ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોરોનાની કામગીરીથી લોકો ખુશ છે, લોકો વધારે મત આપવાના છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર. જ્યાં કોંગ્રેસના ઇશારે સરકાર ચાલે છે. કોરોના દરમિયાન પ્રજા નિઃસહાય રહી હતી.