પોરબંદરઃ અધિકા માસને લઈ શનિવારે રાતે દેવ મંદિરોમાં દર્શન કરવા નીકળેલા ખારવા સમાજ અને પોલીસ વચ્ચે નવી વાડી ખારવા સમાજ પાસે ભારે પથ્થરમારો થયો હતો. કોઈએ અફવા ફેલાવી હતી કે કોઈ યુવતીની છેડતી કરવામાં આવી હતી જેના પગલે મામલો બીચક્યો હતો. રાતે એક વાગ્યાની આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની 8 જેટલી ગાડીઓને આગચંપી કરી હતી.
તો પથ્થરમારામાં બે પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. તો પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 21 જેટલાં ટીયરગેસના સેલ છોડયા હતા. ઘટનાની વિગત એવી છે કે શનિવારે રાત્રે બંદર રોડ પર ત્રણથી ચાર હજાર લોકો ભેગા થયા હોવાની વાત પોલીસ કંટ્રોલ રૂમને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
જ્યારે પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતી હતી ત્યારે ટોળાએ પોલીસ પણ પથ્થરમારો કરતા બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તો પોલીસને 21 જેટલાં ટીયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. ગત રાતે કેટલાંક તોફાની તત્વોએ એવી અફવા ફેલાવી હતી કે હિન્દુ યુવતીની કોઈએ છેડતી કરી છે.
જેના પગલે સમગ્ર મામલો બીચક્યો હતો અને પોલીસ ગાડીઓ અને બાઈકોને આગચંપી કરી હતી. તો પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.