અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસની એક કમિટીએ પોતાની વાર્ષિક રિપોર્ટમાં ભારત-ચીનને લઈને ખૂબ મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર ચીની સરકારે જૂન મહિનામાં ગલવાન ખીણમાં હિંસાનું કાવતરું ઘડ્યું હતું. ચીન પોતાના પડોશી દેશો પર દબાણનું અભિયાન તેજ કરવા માંગતું હતું જે વાળ સીમા પર આવી અવળચંડાઇ કરવામાં આવી. ગલવાનમાં ચીની સૈનિકોએ રાતના અંધારામાં હુમલો કર્યો હતો જેમાં ભારતનાં 20 બહાદુર સૈનિકોએ વતન માટે શહીદી વહોરી હતી.
સરકારે ઘડ્યું હતું કાવતરું
અમેરિકાની USCCએ પણ પોતાની તાજા રિપોર્ટમાં દાવો કર્યો છે કે કેટલાક પૂરાવા છે લે ચીની સરકારે જ હુમલા માટે ષડ્યંત્ર કર્યું હતું. નોંધનીય છે કે જે સંસ્થાએ આ અહેવાલ આપ્યો છે તેની સ્થાપના વર્ષ 2000માં થઇ હતી જે ચીન અને અમેરિકા વચ્ચેના રાષ્ટ્રીય સુરક્ષા અને વેપારના લગતા મુદ્દાઓ પર નજર રાખે છે. આ સંસ્થા અમેરિકન કોંગ્રેસને ચીન સામેના મુદ્દાઓ કાર્યવાહી કરવા માટે પણ ભલામણ કરતુ રહે છે.
ચીની રક્ષામંત્રીએ પહેલા જ આપ્યા હતા સંકેત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સરકારે સરહદ પર આ પ્રકારના પગલાં કેમ ભર્યા છે તેની પાછળનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. જોકે ચીનનું આ વલણ ભારતે સરહદ પાસે બનાવેલ સડક હોઈ શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગલવાનમાં અથડામણના પહેલા જ ચીની રક્ષામંત્રીએ પોતાના જવાનોને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વારંવાર ભારતને આપવામાં આવી ધમકીઓ
નોંધનીય છે આ વર્ષની શરૂઆતથી જ સરહદ પર ચીને પોતાની અવળચંડાઇઓ શરુ કરી હતી. પહેલા તો અમેરિકા સાથે પોતાના વેપાર યુદ્ધમાં ચીને ભારતને ધમકીઓ આપી અને તે બાદ સરહદ પર અચાનક જ પોતાના સૈનિકો વધારવાની શરૂઆત કરી જે બાદ ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણમાં ભારતના અનેક જવાનો શહીદ થયા. જે બાદથી ઘણા મહિનાઓથી સરહદ પર ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે, જોકે સરહદ પર શાંતિ માટે વાતચીત પણ કરવામાં આવી રહી છે.