ચીન વિરૂદ્ધ અમેરિકાએ ટ્રેડ વોર શરૂ કર્યું છે. જેમાં ભારત સહિત વિશ્વના અનેક દેશો જોડાઈ રહ્યાં છે. તો ચીન વિરૂદ્ધ ભારતે ટ્રેડ વોર શરૂ કરતા ચીને ભારતને ચેતવણી આપતા કહ્યું કે ભારત બહુ મોટુ રીસ્ક ઉઠાવી રહ્યું છે. અમેરિકા સાથે સબંધ મજબૂત કરવાથી ભારતને કોઈ ફાયદો નહી થાય.
આમ કરવાથી નિકાસ વધારવાના પ્રયાસોને પણ ઝટકો લાગી શકે છે. જો ભારત ચીન સાથે વેપારમાં ઘટાડો કરવા માગતુ હોય તો ભારતે ટેરિફ લગાવવાના બદલે પોતાના ઘરેલુ બજારમાં પ્રતિસ્પર્ધાત્મક માહોલ બનાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
અમેરિકાનો સાથ આપવો એ ભારત માટે જોખમી પગલું સાબિત થશે. ચીની સરકારના અખબારમાં એક સંપાદકીયમાં ઉલ્લેખ કર્યો છે કે ભારત ચીન વિરૂદ્ધ સંરક્ષણવાદી નીતિ અપનાવીને યુએસના રસ્તે આગળ વધતું જોવા મળ્યું છે.
સંભવ છે કે ભારત ટ્રેડ વાર્તા પહેલાં યુએસને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અથવા તો ભારત બંને દેશો વચ્ચે વેપાર અસંતુલન મુદ્દે પણ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું હોય. અખબારમાં ચીની સરકારનો હવાલો આપતા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આમ કરીને ભારતે એક ખતરનાક રમતમાં ઝંપલાવ્યું છે.
કારણ કે વેપારમાં ભારતને યુએસથી કોઈ ફાયદો થવાનો નથી. આનાથી ચીન સાથે વેપાર વધારવાના પ્રયાસો પર પણ પાણી ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતના વાણિજ્ય વિભાગે સોમવારે ચીનથી આયાત કરેલા સોલાર સેલ્સ અને મોડયુલ્સ પર 25 ટકા ટેરિફ લગાવવાની સલાહ આપી હતી. ભારતના આ નિર્ણયથી ચીન આકુળ વ્યાકુળ થયું છે.
તો ચાઈના સેન્ટર ફોર એનર્જી ઈકોનોમિક્સ રિસર્ચના ડાયરેક્ટર લિન બોકિયાંગને જણાવ્યું કે એક વાત સ્પષ્ટ છે કે બારત ચીન વિરૂદ્ધ સંરક્ષણવાદી નીતિ અપનાવીને ટ્રંપની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તો એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત પોતાના વેપાર નુકસાનને લઈને સંવેદનશીલ બન્યું છે. જેથી તે યુએસ સાથે હાથ મિલાવી રહ્યું છે. વેપાર નુકસાનને લઈને વિશ્વ વેપાર સંગઠનમાં અવાજ ઉઠાવ્યા બાદ ભારત યુએસ ઈયુ અને દરેક દેશ સાથે હાથ મિલાવી રહ્યું છે. ભારતે યુએસ સાથે વેપાર સબંધ સુધારવા માટે વ્હાઈટ પેપર તૈયાર કર્યું છે.