કચ્છ અને ભુજ માટે પાણી અમૂલ્ય સંપત્તિ છે. અહીં તળાવ સંસ્કૃતિ વિકસીત થઇ છે. ગામે ગામ તળાવો છે અને તેનું માહત્મ્ય અનેરૂ છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નર્મદાના નીર પીવા માટે મળતાં થતાં સ્થાનિક સોર્સ મહત્વ ગુમાવી ચુક્યાં છે.
છેલ્લાં ત્રણ વર્ષ દુષ્કાળના હોવાથી હમીરસર તળાવ (Hamirsar Lake) ખાલીખમ હતું. આ વરસે મેઘરાજાએ મહેર કરતાં તળાવમાં પાણી હિલોળા લઇ રહ્યું છે. જો કે 20 ઇંચ જેટલો વરસાદ થવા છતાં તળાવમાં પાણીની આવક જ્યાંથી થાય છે ત્યાં ઠેરઠેર દબાણો થવાથી તળાવ છલકાયું નથી. પરંતુ હવે ગટરોનાં પાણી તળાવમાં પહોંચવાથી સંગ્રહિત થયેલું વરસાદી પાણી પ્રદુષિત (Polluted water) થઇ રહ્યું છે.
હાલમાં ભુજ આખામાં અનેક જગ્યાએ ગટર બેસી જવાની ઘટના બનવા લાગી છે. અનેક જગ્યાએ વરસાદના બદલે ગટરના પાણીના ખાબોચિયા ભરાયેલા છે. અમુક વખતે તો રસ્તા ઉપરાંત લોકોનાં ઘરમાં, શાળાના કમ્પાઉન્ડમાં પણ ગટરના પાણી ઘૂસી જાય છે. હમણાં ભુજનાં મંગલમ ચાર રસ્તા વિસ્તાર પાસે ગટરના પાણી ભરાયા હતાં. જે વરસાદી નાળા મારફતે હમીરસર તળાવમાં પહોંચી રહ્યાં છે. આથી તળાવમાં ભરાયેલું વરસાદી પાણી પણ દૂષિત થઇ રહ્યું છે.
ભુજનું રાજાશાહી જમાનાનું અન્ય એક તળાવ દેશલસર તો વારંવાર, વગર વરસાદે પણ ગટરના પાણીથી છલકાતું હોય છે. નગરપાલિકાના વિરોધ પક્ષે તો એક વખત ગટરથી છલકાતું આ તળાવ વધાવ્યું પણ હતું. જો ગટરની સમસ્યા ન ઉકેલાય તો હમીરસરની પણ આવી જ હાલત થવામાં વાર લાગવાની નથી. નગરપાલિકા ગટરલાઇનની યોગ્ય રીતે મરામત કરાવતી નથી. લાખોના ખર્ચ છતાં શહેરવ્યાપી આ સમસ્યામાંથી લોકોનો છૂટકારો થતો નથી.
રોજ કોઇકને કોઇક જગ્યાએ ગટરલાઇન તૂટવાની, ગટરના પાણી રસ્તા પર વહેવાની ફરિયાદો ઉભી થતી હોય છે. લોકોની વારંવારની રજૂઆતો પછી પણ નગરપાલિકાનું નિંભર તંત્ર જાણે આ અંગે તેની કશી જ જવાબદારી નથી તેવું વર્તન કરે છે. પ્રશ્ન મૂળમાંથી ઉકેલવાના બદલે જરૂર પડે ત્યાં થિગડાં મારીને કામ ચલાવાય છે. કચ્છમાં પ્રવાસન વિકસ્યું છે. કચ્છ આવતા દરેક પ્રવાસી ભુજ અને હમીરસરની મુલાકાત લેતા હોય છે. ત્યારે આ સમસ્યા કાયમી રીતે ઉકેલાય અને ખાસ તો હમીરસરમાં જતું ગંદુ પાણી અટકાવાય તે જરૂરી છે.