ગઠિયાએ પોતે સર્જન હોવાની ઓળખ આપી પૂરપીડિતોને મદદ કરવાના બહાને યુવતી સાથે ઠગાઈ આચરી: યુવતીને વિદેશ બોલાવી લગ્નની લાલચ પણ આપી હતી
ઇન્ટીરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસી
કટકે કટકે ગઠિયાએ 47 લાખનો ચૂનો ચોપડ્યો
વીડિયો કોલ કરી રૂપિયા ભરેલી બેગ યુવતીને બતાવી
વૈદેહી અમદાવાદ આવી ગઈ હતી. ત્યારબાદ અર્જુને એક દિવસ વીડિયો કોલ કરીને કહ્યું હતું કે મારો શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચાલે છે અને ચેન્નઈમાં પણ હું ઘરડાઘર ચલાવું છું અને ત્યાં હાલમાં રિનોવેશનનું કામ ચાલુ છે. મારે ત્યાં બધા માણસો માટે જમવા તથા રહેવાની વ્યવસ્થા કરવાની છે અને હું બહારથી અભ્યાસ કરી ઇન્ડિયા આવ્યો છું, જેથી મારી પાસે ઇન્ડિયાનું કોઈ બેન્કિંગ નથી તેમજ અહીં શ્રીનગરમાં મારી પાસે રોકડ રકમ છે. આમ કહીને તેણે રૂપિયા ભરેલી બેગ વૈદેહીને વીડિયો કોલથી બતાવી હતી. અર્જુને વૈદેહીને પ્રેમજાળમાં ફસાવી ટુકડે-ટુકડે ૨૦૨૧ સુધીમાં કુલ ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વૈદેહીએ આ રૂપિયા પરત માગતાં અર્જુને કહ્યું કે હું નેપાળ આવ્યો છું, હું પરત આવીશ ત્યારે તું શ્રીનગર આવજે. ત્યાં હું તને તારા રૂપિયા આપી દઇશ તેવી તેણે વાત કરી હતી.
47 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ
અલગ અલગ સોશિયલ મીડિયા સાઈટ પરથી જીવનસાથી શોધતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના રામોલમાં રહેતી ઇન્ટીરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગઠિયાએ 47 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ પોતે સર્જન હોવાની ઓળખ આપી યુવતીને વિદેશ ફરવા માટે બોલાવી લગ્નની લાલચ આપી હતી. રામોલના સદ્ગુરુ સાંનિધ્યમાં રહેતી વૈદેહી ઓઝાએ અર્જુન મોટવાણી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. વૈદેહી વસ્ત્રાપુર ખાતે કનેક્ટ નામની ઓફિસ ધરાવે છે અને તે દ્વારા ઇન્ટીિરયર ડિઝાઈનરનું કામ કરે છે.
કેવી રીતે થઈ ઓળખાણ
તા. ૨૫-૫-૨૦૨૧ના રોજ બમ્બલ એપ્લિકેશન થકી અર્જુન મોટવાણી નામની વ્યક્તિ સાથે વૈદેહીને મેસેજ દ્વારા વાતચીત થઇ હતી. અર્જુન મોટવાણીએ વૈદેહીને કહ્યું કે હું કાર્ડીયોલોજી સર્જન છું અને મુંબઈ ખાતે લીલાવતી હોસ્પિટલ તથા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરી હાલ અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવું છું. આમ, તેઓ એકબીજાના પરિચયમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ એકબીજા સાથે વોટ્સએપમાં વાતચીત કરતાં હતાં. આ દરમિયાન અર્જુને કહ્યું કે મને એપોલો હોસ્પિટલથી સર્જરી માટે કોચિન મોકલે છે. આ સમયે અર્જુન વૈદેહીની ઓફિસ પર બેઠા હતા. ત્યાં તેણે વૈદેહી સાથે થોડો સમય પસાર કર્યો હતો.
અલગ અલગ બહાના બતાવી રૂપિયા પડાવી લેતો
અર્જુને તેનો વીકલી ઓફ હોવાથી વૈદેહીને કોચિન બોલાવી હતી. વૈદેહી અર્જુનને મળવા માટે કોચિન પહોંચી ગઈ હતી. આ દરમિયાન અર્જુને તેના પરિવાર વિશે વૈદેહીને જાણકારી આપી હતી.
મારા હાથ નીચે કામ કરતા છોકરાને ૫૦ હજારની જરૂર છે
તા. ૧૫-૬-૨૦૨૧ના રોજ અર્જુને વૈદેહીને કહ્યું કે મારે દિલ્હી જવાનું છે અને ત્યાંથી મારે શ્રીનગર જવાનું છે. તું દિલ્હી આવી જજે. આથી વૈદેહી ફરી અર્જુનને મળવા ફ્લાઈટમાં દિલ્હી ગઈ હતી. જ્યાં અર્જુને વૈદેહી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આ સમયે તે વૈદેહીને બિઝનેસ વિશે વાત કરતો હતો. અર્જુને કહ્યું કે મારું શ્રીનગરનું કામ પૂર્ણ થઇ જશે એટલે હું અમદાવાદ શિફ્ટ થઇ જઈશ. અર્જુને વૈદેહીને કહ્યું કે મારા મેનેજરનો નંબર સ્વિચ ઓફ આવે છે, મારા હાથ નીચે કામ કરતા છોકરાને ૫૦ હજારની જરૂર છે. હમણાં આપી દે હું તને પરત આપી દઇશ. અર્જુને આમ કહેતાં વૈદેહીએ તેને ૫૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
કેવી રીતે રૂપિયા પડાવ્યા?
ચેન્નઈમાં પૂર આવ્યું હોવાથી ઘરડાઘરમાં માણસો મૃત્યુ પામ્યાઃ નવેમ્બર-૨૦૨૧માં ચેન્નઈમાં વધુ પૂર આવ્યું હતું, જેથી અર્જુને વૈદેહીને કહ્યું હતું કે મારા ઘરડાઘરને વધુ નુકસાન થયું છે અને બે-ત્રણ માણસો મૃત્યુ પામ્યા છે તેમજ બીજા માણસોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને પૈસાની ખૂબ જ જરૂર છે. વૈદેહીએ કહ્યું કે હાલમાં ત્રીસ લાખ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જેથી વધુ ટ્રાન્ઝેક્શન ન કરી શકું. વૈદેહીએ આમ કહેતાં અર્જુને કહ્યું કે હું મારા એક માણસને ત્યાં રૂબરૂ મોકલું છું, તું તેને રોકડ રકમ આપી દેજે, હું પરત અમદાવાદ આવી રહ્યો છું તેમ કહીને ફ્લાઇટની ટિકિટ વીડીઈઓ કોલથી વૈદેહીને બતાવી હતી. આથી વૈદેહીને વિશ્વાસ આવી જતાં તેણે બીજા ૧૭ લાખ રૂપિયા અર્જુનના કહેવા મુજબ તેના માણસને આપ્યા હતા.
લંડનથી રૂપિયા આંગડિયા દ્વારા મોકલી દઈશ
બીજા દિવસે વૈદેહીએ અર્જુનનો સંપર્ક કરતાં તેણે કહ્યું કે મારે અરજન્ટ કામ આવી ગયું છે. હું આવી શક્યો નથી, હું કામ પતાવીને લંડન જઉં છું. ત્યાંથી તને તારા રૂપિયા આંગડિયા દ્વારા મોકલી આપીશ, જેથી વૈદેહીને આ બાબતે શંકા જતાં તેણે તેના મિત્રોને આ બાબતે જાણ કરી હતી. વૈદેહીએ અવારનવાર અર્જુનનો સંપર્ક કરતાં તેણે તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આજદિન સુધી રૂપિયા પરત ન આપતાં વૈદેહીએ અર્જુન મોટવાણી વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.