ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસ ચાલી રહ્યો છે. આજે આ સુઓ મોટો કેસમાં વધુ સુનાવણી હાથ ધરવાની છે ત્યારે કેસમાં વધુ સુનાવણી થાય તે પહેલા રાજ્યની રૂપાણી સરકાર તથા કેન્દ્રની મોદી સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યા હતા. કોરોના મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો મામલે આજે 11 વાગ્યે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સરકારને ફટકાર લગાવી શકે છે. આ પહેલાં ગઈકાલે કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે કોરોના સામે પગલાં લીધા હોવાનો દાવો કર્યો હતો.
કેન્દ્ર સરકારે સોગંધનામા કહ્યું હતું કે, 2 મેએ PMની અધ્યક્ષતામાં કોરોના અંગે સમીક્ષા બેઠક કરી હતી જેમાં મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે સમીક્ષા કરાઈ હતી. નાઇટ્રોજન પ્લાન્ટ્સને ઓક્સિજન પ્લાન્ટમાં બદલી મેડિકલ ઓક્સિજન મેળવવા આયોજન કરાયું છે. નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ આઈડેન્ટીફાઈ કરાઈ છે.
"નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટીમ અમદાવાદ મોકલાઈ"
આ સિવાય કેન્દ્ર સરકારે જાણકારી આપી કે ઓપરેશન સમુદ્રસેતુ-2 અંતર્ગત નૌકાદળના 7 જહાજો કાર્યરત છે. વિદેશોમાંથી મદદ લેવાતી હોવાનો પણ કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો. કેન્દ્ર સરકારે દાવો કર્યો કે, નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટીમ અમદાવાદ મોકલાઈ તથા 4 ડોકટર્સ, 7 નર્સ, 20 પેરામેડિકલ સ્ટાફ, 20 સપોર્ટ સ્ટાફ મોકલાયા.