જયેશે મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષા લઇને કેમિકલની ચોરી કરી હતી
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલે હવે એક નવી વાત સામે આવી છે. જે કેમિકલવાળું પાણી(દારૂ) પીવાથી લોકોના મોત થયા તે કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસે આરોપી જયેશ ખાવડિયાને ઝડપી પાડ્યો છે. જે બાદમાં હવે તપાસ દરમ્યાન કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. જેમાં આરોપી જયેશ તેના મિત્ર ગોપાલ ભરવાડની રિક્ષા લઈને કેમિકલની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે.
ચોરીનું કેમિકલ ભરેલી રીક્ષા CCTVમાં કેદ
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડમાં હવે કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. ચોરીનું કેમિકલ ભરેલી રીક્ષા CCTVમાં કેદ થઈ છે. જેમાં આરોપી જયેશ ખાવડિયાએ કેમિકલ ચોરી કર્યું હોવાનું ખૂલ્યું છે. વિગતો મુજબ જયેશે મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષા લઇને કેમિકલની ચોરી કરી હતી. આ સાથે કેમિકલ ચોરી બાદ બોલેરો ગાડીમાં મુકીને નભોઇ ચોકડી મોકલ્યું હતું. આ તરફ નારોલથી કેમિકલ લઇ જતા રસ્તામાં પેટ્રોલપંપ પર CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ છે.
બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરતા જણાવ્યું કે, 'બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે. ગામના લોકોએ દારૂ નહી પરંતુ કેમિકલ પીધું. આ ઘટનામાં જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ કે જે અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરે છે. AMOS કોર્પોરેશન નામની જે કંપની છે ત્યાં મિથાઇલ આલ્કોહોલના બેરલ તે ગોડાઉનમાં મૂકે છે અને મિથાઇલ આલ્કોહોલના બેરલમાંથી અઢી લિટરની બોટલ બનાવવામાં આવે છે. કે જે ચાંગોદરની ફિનાર્ક નામની જે ઓરિજનલ કંપની છે ત્યાં એ અઢી-અઢી લિટરના કેમિકલ બનાવીને મોકલવામાં આવે છે.'