કોલકાતામાં વિનય મિશ્રા નામક ટીએમસી નેતાના ત્યાં સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
કોલકાતામાં વિનય મિશ્રાના ઠેકાણાઓ પર રેડ
કોલસા ચોરી અને પશુઓની હેરફેર મામલે કાર્યવાહી
એક રેડ અને મમતા બેનર્જી તથા અધિકારીમાં હલચલ તેજ : વિજયવર્ગીય
શું છે આખી ઘટના ?
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ખૂબ રાજકારણ ગરમાયું છે અને મમતા બેનર્જી દ્વારા વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે કેન્દ્ર દ્વારા વારંવાર એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવે છે અને એવામાં કોલકાતામાં મમતા બેનર્જીના ભત્રીજાના નજીકના વ્યક્તિના ત્યાં સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે આ એક રેડના કારણે રાજ્યમાં અફરાતફરી થઈ રહી છે. ભાજપ નેતાએ કહ્યું કે રેડના કારણે મુખ્યમંત્રી અને અધિકારીઓમાં હલચલ થઈ રહી છે.
કોણ છે આ વિનય મિશ્રા ?
પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં હલચલ ખૂબ વધી ગઈ છે. ગુરુવારે સીબીઆઈ દ્વારા કોલકાતામાં તૃણમૂલ યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી વિનય મિશ્રાના ઠેકાણાઓએ છાપા મારવામાં આવ્યા અને પ્રાથિમક અહેવાલો અનુસાર પશુઓની હેરફેર કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે પ્રાદેશિક અહેવાલો અનુસાર સીબીઆઈએ સતત વિનય મિશ્રાને નોટિસો ફટકારી હતી પરંતુ મિશ્રાએ તેને અવગણી કાઢી. વિનય મિશ્રાને પાર્ટીના મોટા નેતા અભિષેક બેનરજી સાથે સારા સંબંધો છે અને તેને અભિષેકનો ખાસ માણસ માનવામાં આવે છે. નોંધનીય છે કે અભિષેક બેનર્જી એ મમતા બેનર્જીના ભત્રીજા છે.
કેમ થઈ રેડ ?
ગુરુવારે CBIની ટીમ દ્વારા કોલકાતામાં વિનય મિશ્રાના વિવિધ સ્થળો પર રેડ કરવામાં આવી છે અને ગોલમાલ મુદ્દે બે જગ્યા પર રેડ કરવામાં આવી છે. એક જગ્યા પર પશુ ગોટાળો તથા બીજા સ્થળ પર કોલસા ચોરી મામલે રેડ કરવામાં આવી છે.
રાજકારણ ગરમાયું
પશ્ચિમ બંગાળમાં વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર છે અને ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યમાં પોતાનું સર્વસ્વ દાવ લગાવ્યું છે તથા રાજકારણમાં મમતાને ઘેરવા માટે ભાજપ એક પણ મોકો છોડતી નથી ત્યારે આજની આ રેડ બાદ ભાજપના મોટા નેતા કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે બંગાળમાં એક પાવર બ્રોકર વિનય મિશ્રાના ત્યાં રેડ કરવામાં આવી છે જે બાદ બંગાળના મોટા અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક તથા મુખ્યમંત્રી અને ભાઈઓમાં હલચલ જોવા મળી રહી છે જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશ અને ભારતની બોર્ડર પર પશુઓની હેરફેરના ઘણા મામલા સામે આવે છે જેમાં આરોપ છે કે સ્થાનિક ઓફિસરો અને નેતાઓ તેમાં સામેલ છે. આ મામલે હવે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ જ કેસમાં સીબીઆઈએ કેટલાક ઓફિસરોને સમન પાઠવીને પૂછપરછ કરી હતી.