વિદેશ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે, યુકેના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી UNSC-CCTની બેઠકમાં ભાગ લેવા ભારત આવશે
ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ બ્રિટનના વિદેશમંત્રી આવશે ભારત
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-કાઉન્ટર-ટેરરિઝમ કમિટીની વિશેષ બેઠકમાં ભાગ લેશે
UNSC-CCTની બેઠક શુક્રવાર અને શનિવાર 28-29 ઓક્ટોબરના રોજ યોજાશે
ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ હવે યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ જેમ્સ ક્લેવરલી આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (UNSC-CCT)ની વિશેષ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, યુકેના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી યુએનની આ વિશેષ બેઠકમાં ભાગ લેનારાઓમાં સામેલ થશે.
ભારતીય મૂળના ઋષિ સુનક મંગળવારે વડાપ્રધાન બન્યા પછી બ્રિટનની ઉચ્ચ સ્તરીય આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (UNSC-CCT)ની બેઠક શુક્રવાર અને શનિવાર 28-29 ઓક્ટોબરના રોજ યોજાશે. શુક્રવારે (28 ઓક્ટોબર) તે મુંબઈમાં યોજાશે જ્યારે શનિવારે (29 ઓક્ટોબર) તેના પર દિલ્હીમાં ચર્ચા થશે.
શું કહ્યું ભારતના વિદેશમંત્રીએ ?
વિદેશ મંત્રી એસ જયશંકર તેમના બ્રિટિશ સમકક્ષ સાથે બેઠક સિવાય અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે બ્રિટનમાં ઋષિ સુનક કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવેલા જેમ્સ ક્લેવરલી સાથે ફોન પર વાત કરી હતી. વાટાઘાટો મુખ્યત્વે આતંકવાદ વિરોધી, દ્વિપક્ષીય સંબંધો અને યુક્રેન સંઘર્ષ પર થઈ હતી. જયશંકરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેમને યુકેના વિદેશ મંત્રીનો ફોન આવ્યો હતો.
મહત્વનું છે કે, જેમ્સ ક્લેવરલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર જેવી લાંબા ગાળાની સંસ્થાઓએ પોતાના ભવિષ્યને ભૂતકાળની જેમ પ્રભાવશાળી બનાવવા માટે પોતાને બદલતા રહેવું જોઈએ. બ્રિટનના વિદેશ મંત્રીએ પણ ભારત-લંડન વિશે કહ્યું હતું કે, બ્રિટન ભારતને તેના કદ અને આર્થિક પ્રભાવ સાથે વૈશ્વિક સ્તરે સક્રિય ભૂમિકા ભજવતું જોવા માંગે છે.