પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે કોઈ પણ વર કન્યાના મનમાં ઘણો ઉત્સાહ હોય છે. પરંતુ મધ્યપ્રદેશ સરકારના એક ફરમાનથી અનેક વરકન્યા મુંજવણમાં મુકાયા છે. કેમ કે, લગ્ન પહેલા કુદરતી સૌદર્યો વચ્ચે ફોટો શૂટ કરવાના ખ્યાલોમાં રાચતા અનેક નવયુગલોમાંથી વરરાજાએ હવે લગ્ન પહેલા ટોઈલેટમાં ફોટો પડાવવો પડશે. કેમ મધ્યપ્રદેશ સરકારે આવો કરવો પડયો આદેશ જોઈએ આ અહેવાલમાં.
મધ્યપ્રદેશ સરકારનું નવું ફરમાન
લગ્ન પહેલા ટોઈલેટમાં લેવી પડશે સેલ્ફી
નવા પરણવા જઈ રહેલા યુવક યુવતીઓ ભલે આનંદથી પ્રી-વેડિંગ ફોટો શૂટ કરે પરંતુ એ લગ્ન ત્યારે જ માન્ય ગણાશે. જ્યારે એ વર-કન્યા માંથી વરરાજા પોતાના ઘરના ટોઈલેટમાં ઊભા રહીને ફોટો પડાવશે અને સરકારમાં જમાં કરાવશે. તમને આ વાત કદાચ આશ્ચર્ય પમાડનારી લાગશે. પરંતુ મધ્યપ્રદેશમા શૌચાલય નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મધ્યપ્રદેશ સરકારે આ મુજબનો આદેશ બહાર પાડયો છે.
નવા નિયમથી નારાજગી
કેમ કે મધ્યપ્રદેશ સરકારે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાને નવું રૂપ આપ્યુ છે. આ યોજના હેઠળ રૂ. 51 હજારનો લાભ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓ સામે ઘરમાં શૌચાલય હોવાની પૂર્વ શરત રાખી છે અને પોતાના ઘરમાં શૌચાલય હોવાના પુરાવા રૂપે વરરાજાએ યોજનાના ફોર્મમાં ટોઈલેટ સાથેનો પોતાનો ફોટો પણ રજૂ કરવો પડશે. કેટલાક નવપરિણિત અને લગ્નોત્સુક યુવકો આ નિયમથી નારાજ છે.
વરરાજાએ ઘરના ટોયલેટમાં લેવી પડે છે સેલ્ફી
વરરાજા પોતાના ઘરમાં ટોઈલેટ હોવાનો ફોટા સ્વરૂપે અને સેલ્ફી સ્વરૂપે પુરાવો આપે પછી જ તે યોજનાનો લાભ લેવાનો હકદાર બને છે. જો કે, સરકારના આ નિર્ણય સામે લગ્નોત્સુક અનેક યુવકો નારાજગી દર્શાવી રહ્યા છે. કેમકે ટોયલેટનો ફોટો રજૂ કર્યા વગર યોજનાના લાભની વાત છોડો, લગ્ન પણ માન્ય કરવામાં આવતા નથી અને મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવતું નથી. આથી ઘણા યુવકો સરકારના આ નિર્ણયથી નારાજ છે. તો કેટલાકને આ યોજના સામે કોઈ વાંધો નથી.
નિયમને લઇ લોકોના નિવેદન
મધ્યપ્રદેશના માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં શહેરોમાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે, સરકારે શૌચાલના ફોટા પર આધાર રાખવાને બદલે, ઘરે ઘરે જઈને સ્થળ તપાસ કરવી જોઈએ પછી જ યોજનાનો લાભ આપવો જોઈએ. તો વળી કેટલાક કહે છે કે શહેરમાં તો શૌચાલય હોય જ તો પછી ફોટો પૂરાવાની શું જરૂર છે?
રકમમાં કરાયો વધારો
આપને જણાવી દઈએ કે પહેલા લગ્નના ત્રીસ દિવસની અંદર ટોયલેટ બનાવાની છૂટ હતી. જેને છૂટ હવે સમાપ્ત કરી દેવામાં આવી છે. પહેલા મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ રૂ. 28હજારની સહાય અપાતી હતી. 18 ડિસેમ્બરે કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ સહાય રકમ વધારીને 51 હજાર રૂપિયા કરવામાં આવી છે.
જો કે રકમ વધારવામાં આવતાં લાભાર્થી અરજદારોની સંખ્યા પણ વધી ગઈ અને ઘેર ઘેર જઈને શૌચાલયનું નિરીક્ષણ કરવાનું સરકાર માટે અશ~ય બન્યુ. આથી સરકારે અરજીપત્ર સાથે જ લાભાર્થી અને શૌચાલયનો ફોટો જોડવાનો નિયમ બનાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, લોકો આ નિયમને કઈ રીતે અનુસરે છે.