અરવલ્લીના ભુતાવડ ગામે 17 પરિવારના બહિષ્કાર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષા સાથે તમામ લોકોને ગામમાં પરત લાવવામાં આવ્યા છે.
અરવલ્લીમાં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે એક સમાજનો બહિષ્કાર
ગ્રામજનોએ ગામ બહાર મુકતા 17 પરિવારો સ્થળાંતર માટે બન્યા હતા મજબૂર
પોલીસ પ્રોટેક્શન સાથે બહિષ્કાર થયેલા લોકોને ગામમાં લાવી
અરવલ્લીના ભુતાવડ ગામે આંતરજ્ઞાતિય લગ્ન બાબતે એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આંતરજ્ઞાતિય લગ્ન કરતા ગ્રામજનોએ એક સમાજનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર કરવાની સાથે સ્ટ્રીટ લાઈટ, દૂધ અને પાણી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સાથે જ તેમને ગામ બહાર કરાયા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કડક સુરક્ષા વચ્ચે આ 17 પરિવારોને ગામમાં પરત લાવવામાં આવ્યા છે.
યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરતા ગ્રામજનોમાં આક્રોશ
અરવલ્લીના ભુતાવડ ગામે થોડા સમય અગાઉ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતી સાથે રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ આખા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બંને સમાજના આગેવાનો દ્વારા યુવક અને યુવતીને છૂટાછેડા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. અનેક પ્રયાસ બાદ પણ યુવક-યુવતી અલગ ન થતાં ગ્રામજનો દ્વારા એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
એક સમાજનો કરાયો બહિષ્કાર
તેમના ઘરની પાસે આવેલી સ્ટ્રીટ લાઈટ, દૂધ અને પાણી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ તેમને ગામ બહાર કરાયા હતા. જે બાદ આ મામલો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. આ સમાજના આગેવાનો દ્વારા ભુતાવડ ગામજનોના તાલીબાની નિર્ણયની સામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રડતાં રડતાં વર્ણવી વ્યથા
કલેક્ટરને રજૂઆત કરવા પહોંચેલા લોકોમાંથી એક વૃદ્ધે જણાવ્યું હતું કે ભૂતાવડ ગામમાં છોકરા અને છોકરીએ પ્રેમ લગ્ન કર્યો છે, અમે પણ તેનો વિરોધ કરી રહ્યા છે પણ ગામના તમામ લોકોએ ભેગા થઈને અમારો બહિષ્કાર કર્યો છે. અમારા ઘરો પર પથ્થર મારવામાં આવ્યા અને તે બાદ એક અઠવાડિયાથી અમને કાઢી મૂકેલ છે. અમારા તમામ ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, અમને દૂધ પણ ગામમાંથી મળતું નથી. જે બાળકો ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય બગડી રહ્યું છે, અમારા સમાજમાં એક બહેન ઓપરેશન વાળા હતા અને એકને ડિલિવરી હતી છતાં કોઈ દયા રાખી નથી.
મીડિયા સમક્ષ ઠાલવી હતી વેદના
આ તકે સમાજની મહિલાઓએ રડતા રડતા પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા સમાજના એક યુવકે અન્ય સમાજની એક યુવતી સાથે રાજીખુશીથી કોર્ટ લગ્ન કર્યા હતા. આ અંગે અમને કંઈ ખબર નથી છતાં અમારા 17 ઘરોના લોકોને ગામમાંથી બહાર કાઢી મૂક્યા છે. અમારી કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમને ગામમાં સ્થાપિત કરો.
સળગતા સવાલ
- યુવત-યુવતીએ લગ્ન કર્યા એમા આખા સમાજનો શું વાંક?
- આંતરજ્ઞાતિય લગ્ન કરવા એ કોઈ ગુનો નથી તો તાલિબાની સજા કેમ?
- લોકો આંતરજ્ઞાતિય વચ્ચેનો ભેદભાવ ક્યારે ભૂલશે?
- લોકો ક્યાં સુધી મનુષ્યને બદલે આંતરજ્ઞાતિને ધ્યાનમાં રાખશે?
- સમાજનો બહિષ્કાર કરીને ગામ બહાર જવાનું ફરમાન કેમ?