સિનેમાંઘરો તેમજ મલ્ટીપ્લેક્સમાં ઈચ્છા મુજબના ભાવો પર વેચાનારી ખાદ્યચીજોને લઈ ઘણા દિવસોથી બબાલ ચાલુ છે. તેની સુવનાવણી બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહી છે. બુધવારે સુનાવણી દરમ્યાન કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યુ કે મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાવાનું લઈ જવું સુરક્ષા માટે જોખમી છે? કોર્ટે કહ્યુ કે જ્યારે વિમાનમાં લોકો ઘરેથી ખાવાનું લઈ જઈ શકે છે તો સિનેમાંઘરોમાં કેમ ન લઈ જઈ શકે?
હકીકતમાં આ પહેલા થયેલી સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટમાં તેનાથી સંબંધીત એક એફિડેવિટ દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે થિયેટરોમાં બહારથી ખાવાનું લઈ જવાની પરવાનગી આપવી સુરક્ષા સંબંધિત જોખમ પેદા કરી શકે છે. સરકારે કહ્યુ કે સિનેમાઘરોએ જે પ્રતિબંધ લગાવ્યો છે તેમાં તેઓ દખલ આપી શકતા નથી.
જસ્ટિસ રંજીત મોરે અને અનુજા પ્રભુદેસાઈની પીઠે સુનાવણી દરમ્યાન કહ્યુ કે કોઈ પણ સાર્વજનિક સ્થળ પર ઘરેથી કે બહારથી ખાવાનું લઈ જવા પર કોઈ રોક નથી અને ન તો સિનેમાઘરોમાં બહારથી ખાવાનું લઈ જવાથી રોકવા સંબંધી કોઈ કાયદો નથી. કોર્ટે સરકારને પૂછ્યુ કે સિનેમાઘરોમાં બહારથી લવાયેલા ખોરાકથી સુરક્ષાને શુ જોખમ થશે?
આ દરમ્યાન મલ્ટીપ્લેક્સ એસોસિએશને કોર્ટને જણાવ્યુ કે સિનેમાઘરોમાં પાણીની સુવિધા મફત ઉપલબ્ધ છે. સાથે જ મલ્ટીપ્લેક્સના અંદર વેચવામાં આવતા તમામ પ્રકારની ખાદ્ય ચીજોના ભાવ 20 ટકા સુધી ઘટાડી દીધા છે. જો કે કોર્ટે તેના પર મલ્ટીપ્લેક્સ એસોસિએશનને ફટકાર લગાવી અને કહ્યુ કે તમારુ કામ ફક્ત લોકોને ફિલ્મ બતાવવાનું છે ખાદ્યચીજો વેચવાનું નહીં.