ભારતમાં અત્યંત ખેદજનક વાત એ છે કે કેન્દ્રની ભાજપ સરકાર અને વિવિધ રાજ્ય સરકારો કોરોનાની દવા અને ઈન્જેકશનોનાં કાળાંબજાર રોકવામાં સરિયામ નિષ્ફળ ગઇ છે. કોરોનાની દવા જ નહીં, પરંતુ માસ્ક અને સેનિટાઇઝરનાં પણ કાળાંબજાર થઇ રહ્યાં છે.
નકલી સેનિટાઇઝરનું ધૂમ ઉત્પાદન થઇ રહ્યું છે જે રોકવામાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે. મીડિયામાં આ અંગે અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં સરકાર કોરોનાની દવા-ઇન્જેકશનોનાં કાળાંબજાર રોકવામાં નિષ્ફળ ગઇ છે. કેટલીક સરકારની નજર તળે આ બધું ચાલી રહ્યું છે. સવાલ એ છે કે આખરે આવું કેમ થઇ રહ્યું છે? તેની પાછળના અનેક કારણો જવાબદાર છે. પહેલું કારણ સ્વયં સરકાર છે કે જેણે રેમડિસીવર જેવી દવાને પેટેન્ટેડ દવા તરીકે વેચવાની ભારતમાં મંજૂરી આપી છે. આ મંજૂરી આ વર્ષે જાન્યુઆરીમાં આપવામાં આવી છે.
મહામારીના ઇલાજમાં રેમડિસિવિર અસરકારક સાબિત થઇ
જે સમયે સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાનું શરૂ જ થયું હતું અને જયાં સુધી કોરોનાની મહામારીના ઇલાજમાં રેમડિસિવિર અસરકારક સાબિત થયાનું કોઇ પરીક્ષણ પણ કરવામાં આવ્યું નહોતું એ સમયે કંપનીએ પોતાની આ દવા ભારતમાં પેટન્ટેડ દવા તરીકે વેચવાની મંજૂરી કેમ મેળવી હતી? બીજું આ દવા ૧૦ વર્ષ જૂની હતી અને હમણાં સુધી ભારતમાં તેનું વેચાણ પણ થઇ રહ્યું નહોતું. સ્પષ્ટ છે કે કંપનીને ખબર હતી કે જાન્યુઆરી બાદ આ દવાનું કેવું પરીક્ષણ થશે અને તેના કેવાં પરિણામ આવશે અને ત્યાર બાદ ભારત જ શું પરંતુ સમગ્ર દુનિયામાં એવી માગ વધશે કે કંપની પોતાની મરજી મુજબના ભાવે તેનું વેચાણ કરશે.
ભારતમાં ત્રણ કંપનીઓને આ દવા બનાવવાની મંજૂરી મળી
પેટન્ટેડ દવાનો અર્થ એ છે કે આ દવાની કિંમત કંપની સ્વયં નક્કી કરી શકે છે અને સરકાર તેમાં દખલ કરી શકતી નથી. આશ્ચર્યની વાત એ છે કે સરકારે હજુ સુધી આ દવાને જીવનરક્ષક દવાની માન્યતા આપી નથી અને આ કારણથી પણ તેની કિંમત પર અંકુશ મૂકી શકતી નથી. વાસ્તવમાં આ બધો કંપનીનો ખેલ હતો. જેમાં સરકાર જાણે અજાણે ફસાઇ ગઇ. પરંતુ હવે સરકાર કંપની પાસે તેનું ઉત્પાદન કેમ વધારાવી શકતી નથી અથવા સ્વયં ખરીદીને જરૂરતમંદો સુધી કેમ પહોંચાડતી નથી? સરકાર આ કામ સરળતાથી કરી શકે છે. ભારતમાં ત્રણ કંપનીઓને આ દવા બનાવવાની મંજૂરી આપી છે.
દવાના ભાવ નક્કી
સિપ્લા અને હેટેરોને સરકારે પહેલા મંજૂરી આપી હતી અને પાછળથી માઇલેન એનવીને પણ તેની મંજૂરી આપી છે. માઇલેન એનવીએ જણાવ્યું છે કે તે આ દવાના ૧૦૦ મિલીગ્રામનાે એક ડોઝ રૂ.૪૮૦૦માં વેચશે. સિપ્લાએ પોતાની આ દવાની કિંમત રૂ.પ,૦૦૦ અને હેટેરોએ રૂ.પ૪૦૦ નક્કી કરી છે. બજારમાં આ દવાનાં કાળાંબજાર થઇ રહ્યા છે. લોકો ૧૦થી ર૦ ગણી કિંમતે ખરીદી રહ્યા છે. ગંભીર રીતે બીમાર દર્દીના ઇલાજમાં તેના ૧૦૦ ડોઝની જરૂર પડે છે. જેની કિંમત વાસ્તવમાં રૂ.૩૦થી ૩પ હજાર હોવી જોઇએ, પરંતુ આટલી કિંમતમાં અથવા તેનાથી પણ વધુ કિંમતમાં લોકો એક એક ડોઝ ખરીદી રહ્યા છે.
બાંગ્લાદેશે તો ભારત પહેલાં આપી મંજૂરી
બાંગ્લાદેશની પેટર્ન પર સરકાર ઇચ્છે તો ભારતમાં પણ એવી વ્યવસ્થા ઊભી કરી શકે છે. બાંગ્લાદેશે તો ભારત પહેલાં રેમડિસીવરની જેનેરિક દવાને મંજૂરી આપી દીધી હતી. ત્યાંની બેક્સિમ્કો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને મંજૂરી આપવામાં આવી હતી. ઉત્પાદન શરૂ કરવાની સાથે જ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તે ખાનગી હોસ્પિટલોને પ્રતિ ડોઝના રૂ.પ૪૦૦ના ભાવે આ દવા સપ્લાય કરશે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં આ જીવનરક્ષક દવા વિનામૂલ્યેે સપ્લાય કરવામાં આવશે. ભારતમાં પણ આવું થઇ શકે છે, પરંતુ સરકારે આ બાબતમાં કોઇ રસ લીધો નથી.
ભારતમાં દવા કંપનીઓથી લઇને તેના વિક્રેતાઓ અને હોસ્પિટલ આ બહાને દર્દીઓને લૂંટી રહી છે. માત્ર ભારતમાં જ નહીં અમેરિકામાં પણ આવું જ ચાલી રહ્યું છે. સરકારે કમસે કમ અંગત રસ લઇને કોરોના જેવી બીમારીમાં આ પ્રકારની જીવનરક્ષક દવાઓ ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને વિના મૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.