રાજ્યમાં લોકસભાની ચૂંટણી હવે માથા પર આવી ગઇ છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે ભાજપને ગુજરાતમાં 26માંથી 7 જેટલી બેઠક ગુમાવવાનો ભય છે. ત્યારે જોઇએ આ અહેવાલમાં કે, ભાજપને કઇ બેઠકો ગુમાવવનો ભય છે અને આ ભય કેમ સતાવે છે, જોઇએ આ વિશેષ અહેવાલમાં.
રાજ્યની 26 લોકસભા સીટો માટે 23 એપ્રિલે મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે હવે ભાજપના નેતાઓને 7 જેટલી બેઠક ગુમાવવાનો ભય છે. બિનઅનામત વર્ગને 10 ટકા અનામત આપ્યા બાદ પાટીદાર સમાજ ભાજપથી એટલો નારાજ નથી.
ભાજપના ટોચના સુત્રોના કહ્યા પ્રમાણે પાટીદારની નારાજગી હવે રહીં નથી, કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતા થઇ ગયો છે, બિન અ્નામત વર્ગને 10 ટકા અ્નામત આપી દીધી છે. આવા સંજોગોમાં પાટીદારની નારાજગી કોઇ ઉમેદવાર સામે હોય,પણ ભાજપ સામે તો નથી તેવું સ્પષ્ટપણે ભાજપના નેતાઓ માને છે, પરંતુ પણ પાટીદાર કરતા ખેડૂત નારાજ છે તે ખૂબ જ સારી રીતે ભાજપના નેતાઓ જાણે છે.
ખેડૂત વર્ગમાં માત્ર પાટીદાર નથી આવતો,પાટીદાર ઉપરાંત રાજપુત, ઓબીસી, એસટી, એસસી સહિતનો વર્ગ આવે છે. આવા સંજોગોમાં ખેડૂતની નારાજગીની અસર મતપેટી પર પડે તો ભાજપની આખી ગણતરી ઊંધી પડે તેવી ચિંતા ભાજપના નેતાઓને છે. ત્યારે જો સ્થાનિક મુદ્દાઓ અસર કરશે તો ભાજપને 26માંથી 7 બેઠકનું નુકસાન થઇ શકે છે.
જેમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠ, સાબરકાંઠા, છોટાઉદેપુર, આણંદની બેઠકોનો સમાવેશ થાય છે અને જો રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને મતદાન થયું તો માત્ર બે બેઠક જઇ શકે છે. ત્યારે હવે પીએમ મોદી અંતિમ દિવસોના પ્રચારમાં મતદારોનું મન બદલશે તેવી આશા ગુજરાત ભાજપને છે.