ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો તો જાહેર થઇ ગઇ છે ત્યારે હવે સૌ કોઇના મનમાં ચૂંટણી લડવાના અભરખા હોય છે. ત્યારે ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનું પાલનપુરથી મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, 'પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડીશ. ગુજરાતમાં ભાજપ 150થી વધુ સીટો મેળવશે. ઠાકોર સમાજને સત્તાની નજીક લઈ જવાનો હું પ્રયત્ન કરીશ. મારી અને સમાજની લાગણી છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજનો બને.' ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગરની દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ભાજપમાં દાવેદારી કરી હતી. જેનો ભાજપના કાર્યકરોએ જ વિરોધ કર્યો હતો.
આયાતી ઉમેદવાર મુકાશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી
ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ખેંચતાણ વધી હતી. અલ્પેશ ઠાકોર અને રોહિતજી ઠાકોરે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા છવાયો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવાર ન મુકવા માંગ ઉઠાવી હતી. એટલુ જ નહિ આયાતી ઉમેદવાર આવશે તો સહકાર ન આપવાનું પણ રોકડુ પરખાવી દીધું હતું.આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી.
રાઘનપુર બેઠકને લઇને રાજકારણમાં આવ્યો છે ગરમાવો
વધુમાં તાજેતરમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાઘનપુર બેઠકને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાઘનપુર બેઠકના ધારાસભ્ય રઘુ દેસાઈ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા છે. ત્યારે રઘુ દેસાઈએ ચૂંટણી પંચ પર એવો આક્ષેપ કર્યો હતો કે, 'ચૂંટણીપંચ અલ્પેશ ઠાકોરના દબાણમાં કામ કરે છે. આવી રીતે ચૂંટણીપંચ પક્ષકાર બને તે યોગ્ય કહેવાય નહીં.'
જેના જવાબમાં આજે અલ્પેશ ઠાકોરે રઘુ દેસાઈ પર આરોપ મૂકતા ફેસબુક લાઈવ કરી એવો આક્ષેપ કર્યો હતો કે, 'રઘુ દેસાઈએ લાખો રૂપિયાના તોડ કર્યા છે. રઘુ દેસાઈ રાધનપુરની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. રાઘનપુરમાં હજુ રઘુભાઈની હોસ્પિટલ તૈયાર થઇ નથી. આમ છતાં હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી છે. આ હોસ્પિટલ ખુલ્લી મુકવા રઘુ દેસાઈએ રાજસ્થાનના મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું. જો કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હોસ્પિટલ બનવાની જાણ ન હતી. આથી તેઓ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ન હતા આવ્યા.'