સી. આર. પાટીલે ગઈકાલે ભાવનગર બાદ આજે જુનાગઢમાં પણ વિધાનસભામાં ટિકિટ વહેચણીમાં મહિલાઓના પ્રાધાન્યને લઈને નિવેદન આપ્યું હતું.
સી. આર. પાટીલનું મોટું નિવેદન
ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ મળી શકે
જીતી શકે તેવી મહિલાઓને ટિકિટ અપાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં દરેક પક્ષો અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈ ભાજપ હોય કે કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીઓમાં સળવળાટ દેખાઈ રહ્યો છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જુનાગઢ ખાતે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા હાજર રહ્યા હતા. આ બેઠકમાં બેઠકમાં ગુજરાત કૃષિ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મંત્રી જશા બારડ,સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
PM મોદી અને ગૃહમંત્રી ગુજરાતના તમામ આગેવાનોથી વાકેફ છે-પાટીલ
ત્યારે ફરી એક વખત વિધાનસભા ચૂંટણીમાં કોને વધુ ટિકિટ અપાશે તેને લઈ સી આર પાટીલે મોટી જાહેરાત કરી હતી. ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ સંકેત આપતા કહ્યું હતું કે ચૂંટણી જાહેર થતા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. PM મોદી અને ગૃહમંત્રી ગુજરાતના તમામ આગેવાનોથી વાકેફ છે. PM મોદીની દર વખતે ઇચ્છા હોય છે કે વધુ મહિલાઓને ટિકિટ મળે, જીતી શકે તેવી મહિલાઓને ટિકિટ મળે તેમને સિલેક્શનની પ્રક્રિયામાં જોડીશું. મહિલાઓને વધુ ટિકિટ આપવાની જાહેરાત પણ દેખીતી રીતે સી આર પાટીલના આ નિવેદન પરથી ક્યાસ કાઢી શકાય છે.
બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે: સી આર પાટીલ
મહત્વનું છે કે ગઈકાલે રવિવારના રોજ ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં સી આર પાટીલે મહિલા સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું હતું કે એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે ગુજરાતમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે મોદી ચિંતિત બન્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી હતી.
મેઘા પાટકર થકી AAP પર સી આર પાટીલનો શાબ્દિક હુમલો
વધુમાં સી આર પાટીલે કહ્યું હતું કે સૌ કોઈ જાણે છે કે કઈ રીતે મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં રોડાં નાખ્યા હતા. AAP આવા ગુજરાત વિરોધીઓને સપોર્ટ કરે એ ખરેખર રાજનીતિ માટે શરમજનક છે. જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય.સામાજિક કાર્યકર્તાના નામથી મેધા પાટકર જેવા ગુજરાત વિરોધી લોકોને AAP સપોર્ટ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આવા ગુજરાત વિરોધીઓને સપોર્ટ કરતી પાર્ટીને ક્યારેય ગુજરાતમાં સ્થાન ન આપવું જોઈએ.