કોરોના વાયરસે સમગ્ર રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચાવ્યો છે. તો તેના વધતા કહેરને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કલમ-144 પણ લગાવવામાં આવી છે. ત્યારે જામનગરમાં ભાજપના નેતાઓ દ્વારા લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર મળ્યા છે.
લોકોને સલાહ-સૂચન આપતા નેતાઓમાં જાગૃતિનો અભાવ
2 રાજ્ય મંત્રીઓ,સાંસદે જ ન જાળવ્યું સોશિયલ ડિસ્ટન્સિંગ
પ્રાપ્ત થતી વિગત મુજબ, જામનગરમાં જિલ્લા કલેક્ટરને રાહતનિધિનો એક ચેક આપવામાં આવ્યો હતો. ચેક અર્પણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ખુદ જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ, રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ, અન્ન-પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અનેક અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. જો કે, ફોટો પડાવનારા 2 લોકોએ તો માસ્ક પણ પહેર્યું નહોંતું.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, કોવિડ-૧૯ સામેના જંગમાં મદદરૂપ થવા, #PMCaresFund માં રૂ. ૨૧ લાખ, CM રિલીફ ફંડમાં રૂ.૨૧ લાખ,જિલ્લા કલેક્ટર ફંડમાં રૂ. ૯ લાખ ફાળવતા, તે ચેક સ્વીકારી, સૌ હોદેદારોને આ માનવતારૂપી કદમ માટે બિરદાવ્યા. pic.twitter.com/KFv4Btz1m0
નોંધનીય છે કે, આ પ્રસંગે ભાજપના નેતાઓએ અનેક અગ્રણીઓ સાથે ઉભા રહીને ફોટા પડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઘરમાં રહો, સલામત રહો માટે અપીલ કરી છે. ત્યારે ભાજપના નેતાઓ જ પ્રધાનમંત્રી મોદીની અપીલની અવગણના કરતા જોવા મળ્યા હતા.
51 લાખનો ચેક આપ્યાના ફોટા પડાવ્યા
ઉલ્લેખનીય છે કે, મહામારીને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત ફંડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નેતાઓ જસ ખાટવા માટે થઇને ફોટા પડવાતા હોય છે. આવી જ ઘટના જામનગરમાં બની હતી. જેમાં સાંસદ પોતે અને રાજ્ય સરકારના 2 મંત્રીએ 51 લાખનો ચેક સ્વીકારતા હોય તેવો ફોટો પડાવ્યો હતો અને પોતે જ વડાપ્રધાન મોદીની સોશિયલ ડિસ્ટેન્સિંગની અપીલની અવગણના કરી હતી.
થોડા સમય પહેલા સાંસદ રમેશ ધડૂક અને સુરતના ડે.મેયરે પણ અપીલનું કર્યું હતું ઉલ્લંઘન
આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ ભાજપના સાંસદ રમેશ ધડૂક એક હોસ્પિટલની મુલાકાતે ગયા ત્યારે તેમની સાથે 20 જેટલા લોકો હતા. તો આ તરફ સુરતના ડે.મેયર પર એક જૈન મુનિના દર્શને ગયા હતા. આમ, ભાજપના જ નેતાઓએ પ્રધાનમંત્રીની અપીલના લીરા ઉડાડ્યા હતા.