સુરતમાં વન મંત્રી ગણપત વસાવાએ પ્રજા સાથે વાતચીત દરમિયાન જાહેરમાં પોતાની પણ વેદના ઠાલવી હતી. પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલા પર ગણપત વસાવાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 'ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો. ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઈએ.' મહત્વનું છે કે સુરતના માંગરોળમાં એક જાહેરસભામાં ગણપત વસાવાએ આ નિવેદન આપ્યું છે.
હાલ દેશમાં રોષ વ્યાપ્યો છે ત્યારે સરકાર પાસેથી લોકો આશા રાખી રહ્યા છે કે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવે. ત્યારે માંગરોળની એક સભામાં ભાજપના મંત્રીએ નિવેદન આપ્યું છે કે આપણે સૌ ભારતની સેના અને મોદી સરકાર સાથે છીએ.
તેમણે કહ્યું કે અમને કદાચ લોકસભાની ચૂંટણી મોડી આપશો તો ચાલશે પરંતુ પાકિસ્તાનને સબક શિખવાડવાનો છે. તેના માટે ચોક્કસ કહીશ કે 'ચૂંટણી રોકી દો પાકિસ્તાનને ઠોકી દો. પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ. લશ્કર બદલો લે તેવી દેશવાસીઓની લાગણી છે. સવા સો દેશવાસીઓ રાત્રે ઉંઘતા નથી. સૈનિકોને છતેરીને માર્યા તેનો બદલો આપણે લેવાનો છે. દેશના જવાનો પર દેશને ભરોસો છે. સીઆરપીએફ કહ્યું કે સ્થળ અને સમય અમે નક્કી કરીશું. આપણે સમગ્ર લોકો દેશના જવાનો સાથે છીએ.