મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં આજે કેબિનેટ બેઠક યોજાઈ, જે બેઠકમાં મંત્ર પરસોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા. ગઈકાલે તેમણે માછીમારોની સમસ્યાને લઈને સરકાર સામે આક્ષેપ કર્યા હતા.
પરસોત્તમ સોલંકી કેબિનેટ બેઠકમાં ગેરહાજર
ગઈકાલે માછીમારો અંગે તેમણે નિવેદન આપ્યું હતું
મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં યોજાઈ હતી બેઠક
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કેબિનેટ બેઠક યોજાઈ. જે બેઠકમાં ભાજપના મંત્રી પરસોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા. જેથી આ મુદ્દે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણકે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ હતી તેમ છતા તેઓ હાજર નથી રહ્યા. ગઈકાલે પણ તેમણે સરકારના કામ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
માછીમારોની સમસ્યાને લઈને કર્યા હતા ગંભીર આક્ષેપો
પરસોત્તમ સોલંકીએ માછીમારોની સમસ્યાને લઈને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમા તેમણે એવું કહ્યું હતું કે સરકાર દ્વારા માછીમારોને કોઈ પણ પ્રકારની સહાય કરવામાં નથી આવતી. આ મુદ્દો એટલો બધો ગરમાયો હતો કે કોંગ્રેસ દ્વારા પણ સરકાર સામે પ્રહાર કરવામાં આવ્યા હતા. જેના કારણે રાજકારણ ગરમાયું હતું.
કોંગ્રેસે કર્યા પ્રહાર
કોંગી ધારાસભ્ય સી.જે.ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, માછીમારોને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે માછીમારો માટે સરકાર માત્ર જાહેરાતો કરતી હોય છે. પરંતું તે જાહેરાતો પ્રત્યે કોઈ અમલ કરવામાં નથી આવતો.
કેબિનેટ બેઠકમાં ગેરહાજરી ચર્ચાનો વિષય
વધુંમાં પરોસત્તમ સોલંકીએ ગઈકાલે એવું પણ કહ્યું હતું કે સરકારના મંત્રીઓ અસહાય છે. જોકે આજે પરસોત્તમ સોલંકીની કેબિનેટ બેઠકમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી મંત્રી પરસોત્તમ સોલંકીને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. જેથી તેઓ હવે રોષે ભરાયા છે.
કોંગ્રેસે માછીમારી પ્રત્યે સહાનૂભુતી દાખવી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પરસોત્તમ સોલંકીએ માછીમારોને લઈને જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે હંમેશા તેમણે માછીમારોની મદદ કરતી હતી. જેથી માછીમારોને સહાયને લઈને હવે સરકાર સામે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.