ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કિશનના પરિવાર સાથે કરી મુલાકાત, ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને પરિવારને પાઠવી સાંત્વના
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો
અલ્પેશ ઠાકોરે પરિવારને પાઠવી સાંત્વના
રાજ્યમાં ઠેર ઠેર રેલી કાઢી ન્યાય અપાવવા માંગ
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. તેઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ મામલે તેઓએ જણાવ્યુ હતું કે હત્યાની ઘટનામાં રાજનીતિ નહી પણ નક્કર કાર્યવાહીની માગ છે.
અસામાજિક તત્વોને ડામી દેવા જોઇએ: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે આ મામલે કડક શબ્દોમાં કહ્યું હતું કે ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો છે. આવા અસામાજિક તત્વોને તો ડામી દેવા જોઇએ. આવા તત્વોને બજારમાં કોયડા દેવા જોઇએ. આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયા પર કોમેન્ટમાં મારી નાખવાની ઘટનાને વખોડી નાંખી. વધુમાં જણાવ્યુ કે રાજ્યમાં બીજો કોઇ યુવાન ખોવાય નહી તેવુ આયોજન થવુ જોઇએ. તેમજ આ મામલે ટીકા કરતા જણાવ્યું હતું કે નફરત ફેલાવનાર મૌલવીને ધર્મના ઠેકેદારો બનવાનો અધિકાર નહીં.
"કટ્ટરવાદીનું ગુજરાતમાં કોઇ કામ નથી"
ગુજરાતમાં ભાઇચારાને તોડવાનો પ્રયાસ થશે તેને જડબાતોડ જવાબ મળશે . આ મામલે સસ્તી રાજનીતિ કરનાર મોતનો મલાજો જાળવે..તો સોશિયલ મીડિયા પર સંયમ જાળવવા પણ અપીલ કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓને જલ્દી સજા મળે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી પણ માગ કરી હતી. સાથે એમ પણ જણાવ્યુ કે કટ્ટરવાદીનું ગુજરાતમાં કોઇ કામ નથી.
રાજ્યમાં ઠેર ઠેર વિરોધ
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે ન્યાયની માગ લઇને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોરબંદરમાં આ મામલે માલધારી સમાજ અને ધાર્મિક સંગઠનો દ્વારા રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. જ્યારે રાજકોટમાં પણ અલગ અલગ સંગઠનના લોકો ભેગા થઇને કલેક્ટર કચેરીએ આવદેન પત્ર આપવા પહોંચ્યા હતા. તો આ તરફ મોરબીના વાંકાનેરમાં જીતુ સોમાણીની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઇ હતી. આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. જેતપુર અને જસદણમાં પણ આ મામલે વેપારીઓએ બંધ પાળ્યો હતો. જેતપુરમાં રેલી યોજીને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આણંદના ખંભાતમાં ધાર્મિક સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ પોલીસ સમજાવટ બાદ રેલી રદ્દ કરવામાં આવી હતી.