ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે ખૂબ સારુ પ્રદર્શન કર્યા બાદ ઠેર ઠેરથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે દેશમાંથી હવે મોદી લેહર સમાપ્ત થઈ ગઈ છે અને આવતીલોક સભાની ચૂંટણીમાં પણ લોકો આ પ્રકારે મતદાન કરીને કોંગ્રેસની સરકાર બનાવશે.
કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તાએ આ હારને મોદીથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો દરમિયાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મીડિયા સમક્ષ આવ્યા હતા.
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની વાપસી માટે તેમણે કાર્યકરોને અભિનંદન આપ્યા અને આ જીતને કાર્યકરોની જીત ગણાવી. આ સાથે રાજસ્થાન એમપી અને છત્તીસગઢમાં ભાજપના સીએમની કામગીરીને રાહુલ ગાંધીએ બિરદાવી છે અને કહ્યું કે તેઓ જનતા માટે કામ કરી રહ્યા હતા.
હવેનો સમય બદલાવનો સમય છે. રાહુલે કહ્યું કે આ અમારી વિચારધારાની જીત છે. યુવાનોને રોજગારીનો જે વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરવામાં આવ્યો ન હતો.
આવી જ રીતે ખેડૂતોને જે વાયદા કરવામાં આવ્યા હતા. તે પણ પૂર્ણ થયા નથી. આ વડાપ્રધાન મોદી અને ભાજપને દેશની જનતાનો સ્પષ્ટ સંદેશ છે કે તે સરકારના કામથી ખુશ નથી. નોટબંધી અને જીએસટીના કારણે લોકો ઘણા પરેશાન થયા છે.
રાહુલે દાવો કર્યો કે મોદી સરકાર સામે વિપક્ષ એક છે અને એક સાથે ઉભુ છે. મધ્યપ્રદેશ અંગે રાહુલે કહ્યું કે કોંગ્રેસ એસપી અને બીએસપીની વિચારધારા એક છે. મુખ્યપ્રધાન પદનો મુદ્દો મોટો નથી. તે બાદમાં ઉકેલી લેવાશે. ઇવીએમ અંગે રાહુલે કહ્યું કે ઇવીએમમાં યુનિવર્સલ પ્રોબ્લેમ છે. માત્ર ભારતની વાત નથી.
દેશની જનતા ઇવીએમ પ્રત્યે સંતુષ્ટ નથી. ઇવીએમ સામેના કોંગ્રેસના સવાલ યથાવત છે. ભ્રષ્ટાચાર મુદ્દે તેમણે કહ્યું કે જનતાના મગજમાં એવું હતુ કે પીએમ મોદી ભ્રષ્ટાચારની વિરૂદ્ધ લડી રહ્યા છે. પરંતુ હવે લોકોના મનમાંથી આ વાત દૂર થઇ ગઇ છે.