નવી દિલ્હીઃ ભાજપે જમ્મૂ કાશ્મીર સરકાર પાસેથી પોતાનુ સમર્થન પાછુ ખેચી લીધું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્લીમાં રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી હતી જ્યાર બાદ ભાજપે સમર્થન પાછુ ખેંચવાનો નિર્ણય કર્યો છે. આજે સાંજે જ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. જણાવાય રહ્યું છે કે ભાજપ થોડી જ વારમાં પોતાનો પત્ર રાજ્યપાલને આપશે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ કાશ્મીર મામલે મહત્વપૂર્ણ બેઠક કરી છે. અમિત શાહે જમ્મુ-કશ્મીર રાજ્ય સરકારના ભાજપના તમામ મંત્રીઓને દિલ્લી બોલાવ્યા હતા. જમ્મુ કશ્મીર પ્રદેશ ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાને પણ દિલ્લી તેડાવ્યા હતા.
આ બેઠકમાં કશ્મીરની વર્તમાન પરિસ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપ-PDPના ગઠબંધનનું ગઠબંધન તૂટ્યું છે. આજની બેઠકમાં અમિત શાહે મોટો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે રમઝાન માસમાં કેન્દ્ર સરકારે સીઝફાયર જાહેર કર્યું હતું. સાથે ઓપરેશન ઓલ આઉટ બંધ કર્યું હતું. પરંતુ તે દરમિયાન આતંકી ઘટનાઓમાં ઘણો ઉછાડો આવ્યો હતો. અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ભારતીય સેનાના ઘણા જવાનો પણ શહીદ થયા હતા.
તો શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુઝાત બુખારીની હત્યા કરવામાં આવી. તો ભારતીય સેનાના જવાન ઔરંગજેબની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી. આવી તો અનેક ઘટનાઓને કારણે કેન્દ્ર સરકાર સામે અનેક આક્ષેપો થઈ રહ્યા હતા.
રવિવારે ગૃહમંત્રીએ સંઘર્ષવિરામ આગળ નહીં વધારવાનો નિર્ણય કરતા સેનાને ફરી આતંકીઓ સામે ઓપરેશન શરૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે આજે મળેલી અમિત શાહની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.