આજે અમદાવાદ 608 વરહનું થયું માન્ચેસ્ટર કર્ણાવતી આશાવલ અને મેટ્રોસીટી જેવા વિવિધ નામોથી જાણીતા બનેલ અમદાવાદની વિકાસની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી છે.આજે આ હળબડીયા શહેરને વિશ્વની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન મળ્યું છે.
સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીથી શરૂ કરી આશાવલ ભીલ અને અંતે મુઝફ્ફર વંશના બીજા રાજવી અહેમદશાહ સુધીની યાદો અમદાવાદ સાથે જોડાયેલી છે.આશાવલ ભીલ રહેતો એટલે "આશાવલ" કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે કર્ણાવતી અને અહેમદશાહ બાદશાહે વસાવ્યું એટલે અહેમદાબાદ અને વગેરે...વગેરે...
એક લોકવાયકા પ્રમાણે જ્યારે અહેમદશાહ અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક સસલાને કુતરાની પાછળ પડેલું જોયું સસલાની આ હિંમત જોઇને બાદશાહને આ ભૂમિમાં રહેલ તાકાતને સલામ કરવાનું મન થયું અને 26 ફેબ્રુઆરી 1411ના રોજ વિધિવત રીતે આ શહેરની સ્થાપના થઇ. સૌ પ્રથમ બાદશાહે માણેક બુર્જની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ બોલે છે...
"જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા" આ વાત અમદાવાદની વર્ષો જૂની યાદોને માલીકોર સંઘરીને બેઠેલા વડીલના મોઢે અચૂક સાંભળવા મળે છે.10 કિલોમીટરની પરિમીતી ધરાવતા કોટમાં આ શહેર સમાયેલું હતું જેમાં 12 દરવાજા વડે અવર-જવર કરવામાં આવતી હતી જો કે કેટલાક લોકોના મતે 16 દરવાજા હોવાની વાત પણ સાંભળવા મળી છે.
આ શહેર સાથે કેટલાય બાદશાહની જોડાયેલી યાદો આજે પણ અડીખમ છે જેમાં મહમ્મદ બેગડો બહાદુરશાહ હુમાયુ અંતે અકબરના હાથમાં અમદાવાદ આવ્યું હોવાનું લોકજીભે સાંભળવા મળે છે.જો કે શાહજહાંએ પણ થોડો સમય અમદાવાદમાં પસાર કર્યો હોવાનું ઇતિહાસ બોલે છે.એક કોટમાં સમાયેલું અમદાવાદ આજે ઠેર-ઠેર સુધી ફેલાઇ ગયું છે.આઝાદીની વાતો પણ આ શહેર સાથે જોડાયેલી છે.
આઝાદી બાદ રવિશંકર મહારાજના હસ્તે મહાગુજરાતની સ્થાપના થઇ અને અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું.એક સમયે કાપડ બજારમાં એક્કો ગણાતું આ શહેર કેટલીય કાપડ મીલો ધરાવતું હતું.એટલે જ કદાચ અમદાવાદને "manchester of india" તરીકે વિશ્વભરમાં જાણીતુ હતું.
સાયરન વાગે અને સિફ્ટ બદલાય તે વાત આજે ભૂતકાળ બની ગઇ છે.મીલ બહાર ઉભેલી ચીમનીઓ આજે પણ અમદાવાદના ઇતિહાસનું એક જમાપાસુ છે.કાલુપુરમાં આવેલ ટંકશાળ જ્યાં એક સમયે ચલણનું છાપકામ કરવામાં આવતું તે વાત બહું ઓછા લોકોને ખબર હશે.
હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળૉ ગીત સાંભળતા જ અસરાની યાદ આવે છે ઓલા લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ...જેવા ગરબા અસલ અમદાવાદની ઝાંખી કરાવે છે.સમય બદલાયો રીતભાત બદલાઇ વ્યવસ્થા બદલાઇ છે ઠેર-ઠેર જોવા મળતી આભને આંબતી ઇમારતો અને સમય સાથે સતત તાલમેલ મીલાવી દોડતા રહેતા અમદાવાદીઓ જરૂર છે પરંતુ આજે પણ પોળની પરંપરા અહીં અડીખમ ઉભી છે આજે અમદાવાદની કેટલીય પોળોમાં જોવા મળતી હવેલીઓ અમદાવાદની અસલ ઓળખ છે.
કિશોર કુમારના કંઠે ગવાયેલ અમે અમદાવાદી....અમે અમદાવાદી જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી...ભાઇ અમે અમદાવાદી આજે પણ ક્યારેક આકાશવાણી પર સાંભળવા મળે છે.અમદાવાદમાં આવેલ સ્થળો ઐતિહાસિક ધરોહર છે આજે પણ દેશ-વિદેશના સહેલાણીઓ અમદાવાદની મુલાકાતે રોજ આવી ચઢે છે.
અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાય પુસ્તકો પણ લખાયા છે.જેમાં જામનગરના લેખક અર્ચિત રાવલે અમદાવાદના 603 વર્ષના ઇતિહાસને 2 પૂંઠા વચ્ચે આવરી લેવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.500થી વધુ પાનાં ધરાવતો આ ગ્રંથ આવનારી પેઢીને વારસારૂપે આપી શકાય તેવો છે.
અમદાવાદનો આજે 608મો જન્મદિવસ છે ત્યારે એક વાત કહેવાનું અચુક મન થાય છે ભલે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તેમ છતાં અમદાવાદમાં આજે પણ કેટલીય ઐતિહાસિક ઇમારતો અડીખમ ઉભી છે તેની મરમ્મત ના કરાવી શકીએ તો કાઇ નહીં પરંતુ તેને નુકસાન તો ના જ થવા દઇએ...તો કદાચ આવનારી પેઢીને આ હેરિટેજ નગરની ઓરીજનલ વ્યાખ્યા જાણવા અને મા'ણવા મળશે બાકી તો પાઠ્યપુસ્તક કે પછી પરિવારના વડિલો જ છેલ્લો ઓપ્શન રહેશે.અંતે ફરીવાર અમદાવાદને જન્મદિવસની શુભકામનાઓ..
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)