રાજકોટમાં ગાયની અડફેટે એકનું મોત, તંત્રના પેટનું પાણી ન હાલ્યુ, મેયરે ફોન કટ કરી નાંખ્યો
રાજકોટમાં ગાયની અડફેટે એક વ્યક્તિનું મૃત્યુ
બાઇક સવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ
વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બની ઘટના
રાજ્યમાં રોજબરોજ અકસ્માતના બનાવો બને છે તે આપણે સાંભળ્યુ છે પરંતુ હવે તો રસ્તે રખડતા ઢોર અકસ્માતનું કારણ બની ગયા. એક તો ચક્કાજામ ટ્રાફિક અને બીજી તરફ રખડતા ઢોરોની હેરાનગતિ. પાછા રોડ રસ્તાના ઠેકાણા નહી. માણસ કરે તો કરે શું ? બહુ બહુ તો તંત્રને રજૂઆત કરે. ઢોરો માટે ખાસ જગ્યા ફાળવે કે કંઇ પણ રસ્તો તંત્ર કરે તેવી આશાએ ફરિયાદો કરે. પરંતુ આવી ફરિયાદો તો અનેકવાર થઇ, પરંતુ તંત્રના બહેરાકાંન કંઇ સાંભળે તોને ? રખઢતા ઢોરને કારણે આજે એક પરિવાર ઘરનો મોભી ગુમાવ્યો.
ગાયની અડફેટે એકનું મોત
વાત છે રાજકોટની. રાજકોટના મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે ગાયની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું. ગાયે બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ તે વ્યક્તિનું મોત થયું. આ એ વિસ્તાર છે જ્યાં રખઢતા ઢોરોનો બહુ જ ત્રાસ છે. અનેક વખતે તંત્રને આ અંગે નિરાકરણ લાવવા ઢંઢોળવામાં આવ્યુ પરંતુ આટલી મોટી ઘટના બની ગઇ તેમ છતાં ભાજપના અધિકારીઓ મોઢે પટ્ટી બાંધીને મૌન સેવીને બેસી ગયા છે.
રાજકોટના મેયરે ફોન કટ કરી દીધો
જ્યારે મત લેવા હોય ત્યારે પદાધિકારીઓ શેરીએ શેરીએ ફરશે. મોટા મોટા વાયદાઓ કરશે. પણ શહેરમાંથી રખડતા ઢોરોનો ત્રાસ આ સત્તાધીશો દૂર ના કરી શક્યા અને એક નિર્દોષનો ભોગ લેવાયો. વીટીવી ન્યૂઝે જ્યારે આ અંગે મેયર પ્રદિપ ડવનો સંપર્ક કર્યો તો તેઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતું, પહેલા તો ફોન કરી નાંખ્યો, ફરી વાર ફોન લગાડતા ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો. મેયર કક્ષાના વ્યક્તિ જ્યારે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે આવી રીતે વાત જ ટાળી દે તો આવા પ્રતિનિધી શું જનતા માટે લડવાના ? ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં જ મેયરે રખડતા ઢોરની સમસ્યા અંગે કામગીરી કરી રહ્યા હોવાની વાત કરી હતી પરંતુ તે માત્ર વાતો જ હતી કામગીરી જો થઇ હોત તો આજે આવી દુર્ઘટના બની જ ન હોત. સમગ્ર ઘટનાને પગલે ભાજપના અધિકારીઓએ મૌન સેવ્યુ હતું.
ફોજદારી પગલા લેવા જોઇએ-નેતા, કોંગ્રેસ
જનતાના પ્રતિનિધીઓ આવી રીતે ફોન સ્વીચ ઑફકરી દે તે કેટલા અંશે યોગ્ય ? વીટીવી ન્યૂઝે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અંગે વિપક્ષે અવારનવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ કામગીરી કરવામાં આવી નથી. આ ઢોર પર નંબર લગાડવામાં આવેલા છે.તે નંબરના આધારે ઢોરના માલિક સામે ફોજદારી પગલા લેવામાં આવે. આજે જ અમે આ અંગે કમિશનર સાથે ચર્ચા કરીશું.