કોરોના કાળમાં એક નાની અમથી લાપરવાહી મોટી આફતને જન્મ આપી શકે છે તેની એક મોટી ઘટના બિહારના સમસ્તીપુરમાં બની છે. અહીં હેલ્થ વર્કરની એક ભૂલને કારણે 115 લોકો નાહકના કોરોના પોઝિટીવ થવાનો વારો આવ્યો હતો, આ ઘટનાને લઈને લોકોમાં ખૂબ મોટી ચિંતા વ્યાપી છે અને લોકો હવે ટેસ્ટ કરાવતા પણ ડરી રહ્યાં છે.
115 સાજા નરવા લોકો અચાનક કોરોના પોઝિટીવ થયા
બિહારમાં કોરોના તપાસમાં એક મોટી લાપરવાહી સામે આવી છે. સમસ્તીપુરમાં એક સ્વાસ્થ્ય કર્મચરીએ એક પોઝિટીવ વ્યક્તિના સેમ્પલ દ્વારા 115 લોકોના RT-PCR ટેસ્ટ કરી નાખ્યા અને તમામ લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. જે લોકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યાં છે તે તમામ અત્યંત સ્વસ્થ હતા પરંતુ પોઝિટીવ સેમ્પલને કારણે તેઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
હેલ્થ વર્કરે ભૂલથી પોઝિટીવ દર્દીના સેમ્પલથી બીજા લોકોના ટેસ્ટ કર્યાં
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, બિહારના સમસ્તીપુરમાં એક ડોમમાં લોકોના કોરોના ટેસ્ટિંગનું કામકાજ ચાલતું હતું. આ દરમિયાન હેલ્થ વર્કરે એક પોઝિટીવ વ્યક્તિના સેમ્પલ દ્વારા બીજા 115 લોકોનો ટેસ્ટ કર્યો. હેલ્થ વર્કરને તો એમ કે તેણે બધા લોકોના ટેસ્ટ કરી નાખ્યાં છે પરંતુ તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય તે તેવું આવું ભયંકર પરિણામ આવશે.
ઘટના સામે આવતા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ
આ ઘટના સામે આવતા સમસ્તીપુર હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ મચ્યો છે. મંગળવારે આ ઘટનાનો ખુલાસો થયા બાદ DM યોગેન્દ્ર સિંહના આદેશ પર સિવિલ સર્જન ડોક્ટર સત્યેન્દ્ર કુમાર ગુપ્તાએ સ્વાસ્થ્ય કર્મી દિનેશ ઝાને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં તપાસ માટે કલ્યાણપુર પીએચસી પ્રભારીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. આ કેસમાં બે દિવસમાં તપાસ રિપોર્ટ મંગાયો છે.