અંબાજી ખાતે ભક્તોના ધસારાને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ગબ્બર પરિક્રમામાં એક દિવસનો વધારો કર્યો છે. હવે 51 શક્તિપીઠ પરિક્રમા 5 દિવસના બદલે 6 દિવસ યોજાશે.
અંબાજી ગબ્બર પરિક્રમામાં એક દિવસનો વધારો
હવે 5 દિવસના સ્થાને 6 દિવસ યોજાશે પરિક્રમા
અંબાજી ખાતે ભક્તોના ધસારાને ધ્યાને રાખીને નિર્ણય
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બર પર 12 ફેબ્રુઆરી 2023થી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બે દિવસમાં એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. ત્યારે આજે ચોથા દિવસે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા કરી રહ્યા છે. જય અંબે નાદ સાથે અને માં અંબાની શક્તિ અને ભક્તિ સાથે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. અંબાજી ખાતે ભક્તોના ધસારાને ધ્યાને રાખીને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
6 દિવસ યોજાશે પરિક્રમા
ગબ્બર પરિક્રમા કરતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ગબ્બર પરિક્રમામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે 5 દિવસના બદલે 6 દિવસ સુધી પરિક્રમા યોજાશે. અંબાજી ખાતે ભક્તોના ધસારાને ધ્યાને રાખીને નિર્ણય બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય જાહેર કર્યો છે.
51 શક્તિપીઠની પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ
શ્રદ્ધાળુઓમાં 51 શક્તિપીઠની પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તો મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. જય અંબેના જય ઘોષ સાથે હાથમાં ધજાઓ લઈને ભક્તો આ 51 શક્તિપીઠની પરિક્રમાં કરી રહ્યા છે. ભક્તો માટે પાણી, છાશ, નાસ્તા અને ભોજન સહિતના કેમ્પ ઉભા કરાયા છે. સામાજિક સંસ્થાઓ સાથે સાથે વહીવટી તંત્ર પણ આ સેવા કેમ્પમાં સેવા આપીને શ્રદ્ધાળુઓને આવકાર આપી રહ્યું છે.
ગોઠવવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત
શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા એસટી બસોની વ્યવસ્થા કરાઈ છે.
પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે
અંબાજીમાં શક્તિ પરિક્રમાને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો હતો. પરિક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે તેમજ યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે. લાભ લેવા માટે યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તેમજ આ લાભ 12થી 16 ફેબ્રુઆરી સુધી આપવાનો રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને આ લાભ મળશે.