ફ્રીબીઝ પર લગામ લગાવવા માટે ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણી સમયે એક ફોર્મ ભરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ભરીને પાર્ટીઓએ જણાવવાનું રહેશે કે ચૂંટણીના વચનો પૂરા કરવા માટે નાણા ક્યાંથી આવશે. આ ફોર્મ મૉડલ કોડ ઑફ કંડક્ટનો ભાગ હશે. ચૂંટણી પંચે થોડા દિવસ અગાઉ તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને કહ્યું હતું કે તેઓ ચૂંટણીના વચનોને પૂરા કરવાને લઈને નાણાકીય સ્થિતિ અંગે મતદારોને સાચી માહિતી પૂરી પાડે, કારણ કે અડધી માહિતીની દૂરગામી અસરો થઈ રહી છે.
ફ્રીબીઝ પર લગામ લાદવાની ચૂંટણી પંચની પહેલને ઝટકો
ચૂંટણી વચનો સાથે જોડાયેલા ફોર્મનો ઘણા રાજકીય પક્ષોએ કર્યો વિરોધ
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત ઘણા પક્ષોએ પ્રસ્તાવનો કર્યો વિરોધ
દેશમાં રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાના વચનો પર લગામ લગાવવાના પ્રયાસો સફળ થતા જણાતા નથી. ફ્રીબીઝ પર લગામ લાદવાની ચૂંટણી પંચની પહેલને તે સમયે મોટો ઝટકો લાગ્યો, જ્યારે ચૂંટણી વચનો સાથે જોડાયેલા ફોર્મ પર ઘણા રાજકીય પક્ષોએ વિરોધ કર્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીથી લઈને CPM અને AIMIMએ ચૂંટણી પંચના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. જો કે ચૂંટણી પંચ હજુ ભાજપ અને અન્ય પક્ષોના જવાબની રાહ જોઈ રહ્યું છે.
ફોર્મ ભરીને માહિતી આપવા જણાવ્યું હતું
વાસ્તવમાં, ફ્રીબીઝ પર લગામ લગાવવા માટે ચૂંટણી પંચે પક્ષોને ચૂંટણી સમયે એક ફોર્મ ભરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ભરીને પાર્ટીએ એ જણાવવાનું રહેશે કે ચૂંટણી સમયે મતદારોને આપવામાં આવેલા વચનોને પૂરા કરવા માટે નાણા ક્યાંથી આવશે. આ ફોર્મ મૉડલ કોડ ઑફ કંડક્ટનો ભાગ હશે. ચૂંટણી પંચે થોડા દિવસ અગાઉ તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને ચૂંટણી વચનોને પૂરા કરવા માટે નાણાકીય સ્થિતિ અંગે મતદારોને સાચી માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું કારણ કે અડધી માહિતીની દૂરગામી અસરો થઈ રહી છે.
ચૂંટણી પંચે એક ફોર્મ પણ પાડ્યું હતું બહાર
ચૂંટણી વચનોને પૂર્ણ કરવાનો સ્ત્રોત અને નાણાકીય અસર જણાવવા માટે ચૂંટણી પંચે એક ફોર્મ બહાર પાડ્યું હતું અને ચૂંટણી પંચે 4 ઓક્ટોબરે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરની પાર્ટીઓને પત્ર લખીને 19 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો હતો. ચૂંટણી પંચના ફોર્મમાં ચૂંટણી વચનને લગતી નાનામાં નાની વિગતો આપવાની હતી અને ચૂંટણી પંચે ફોર્મ બનાવવામાં RBI, CAG અને બજેટના પૈરામીટર્સનો ઉપયોગ કર્યો હતો. ફોર્મમાં જણાવવાનું હતું કે ચૂંટણી વચનોને પૂરા કરવાના પૈસા ક્યાંથી આવશે અને આ વચનને કેવી રીતે પૂરા કરી શકાશે.
પાર્ટીઓ વચનો પૂરા કેવી રીતે કરશે એ જાણવાનો મતદારોનો અધિકાર
ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, રાજકીય પક્ષોને ચૂંટણી વચનો કરવાથી રોકી શકાય નહીં, પરંતુ મતદારને એ જાણવાનો પણ અધિકાર છે કે તેમને આપવામાં આવેલા વચનો પૂરા કેવી રીતે થશે. આ હેતુથી ચૂંટણી પંચે રાજકીય પક્ષોની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વિસ્તૃત ખુલાસાની માંગ કરી છે. આનાથી મતદારોને રાજકીય પક્ષોની સરખામણી કરવામાં મદદ મળશે અને એ સમજવામાં મદદ મળશે કે શું ચૂંટણી વચનોને વાસ્તવિકતામાં ફેરવી શકાય છે. ચૂંટણી પંચે આ અંતર્ગત પ્રસ્તાવ આપ્યો છે કે જ્યારે પણ અથવા જ્યાં પણ ચૂંટણી યોજાય, ત્યારે તે રાજ્યના મુખ્ય સચિવે અથવા કેન્દ્રના નાણાકીય સચિવે એક નિયત ફોર્મેટમાં ટેક્સ અને ખર્ચની વિગતો પ્રદાન કરવી.