સોમનાથ મહાદેવના મંદિરમાં માતા પાર્વતીના મંદિરન નિર્માણ માટે અંદાજિત 30 કરોડ રૂપિયાની સેવા આપનારા ભીખાભાઈ ધામેલિયાનો ઉલ્લેખ PM મોદી અને અમિત શાહે પણ કર્યો હતો
સોમનાથને કેન્દ્રની ભેટ
પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ
શ્રદ્ધાળુઓનું વધશે આકર્ષણ
સોમનાથ મહાદેવ માટે પૂર્ણ શ્રદ્ધાવાન ભીખાભાઈ ધામેલિયા દ્વારા માતા પાર્વતીના મંદિરના નિર્માણ માટે રૂપિયા 30 કરોડની સેવા નોંધાવવામાં આવી છે. ગુજરાતની ઓળખ સમાન સોમનાથ મહાદેવના મંદિરમાં માતા પાર્વતીના મંદિરનું પણ શિલન્યાસ કરવામાં આવ્યું છે. શિલન્યાસના સમગ્ર કાર્યક્રમમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. પરંતુ સમગ્ર કાર્યક્રમમાં સુરતના ડાયમંડ કિંગ ભીખાભાઈની ચર્ચા સૌના મુખ પર હતી. PM મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભીખાભાઈ ધામેલિયાની આ સેવા વિશે વાત કરી હતી. તો સુરતના આ ભીખાભાઈ ધામેલિયા કોણ છે. અને સુરતમાં હીરાની 3 ફેક્ટરી સહિતના બીજા વ્યવસાય સાથે સંકળાયેલા આ ઉદ્યોગપતિએ માતા પાર્વતીના મંદિરના નિર્માણમાં કેટલા કરોડ રૂપિયાની સેવા લખાવી છે.
ભીખાભાઈ ધામેલિયાનો પરિચય
સૌરાષ્ટ્રનું જાણીતું અમરેલી શહેરમાંથી અનેક લોકોએ સુરતમાં ડાયમંડ બિઝનેસ ઉભા કર્યા છે. અને આજે વિશ્વના અનેક દેશમાં પોતાનો વેપાર કરી જાણે છે. ત્યારે આજ અમરેલી જિલ્લાના સીમરણ ગામના ભીખાભાઈ ધામેલિયાએ માતા પાર્વતી માટેના મંદિરની સેવામાં સૌથી મોટું દાન નોંધાવ્યું છે. અંદાજિત રૂપિયા 30 કરોડના ખર્ચમાં ભીખાભાઈ સૌથી મોટી સેવા નોંધાવી ચૂક્યા છે. અગાઉ ભીખાભાઈ અને દિલીપ લાખીએ સોમનાથમાં સોનાનું થાળું પણ સેવામાં આપ્યું હતું.
મૂળ અમરેલી જિલ્લાના સીમરણમાંથી સુરત સુધીની યાત્રામાં અનેક સંઘર્ષ પછી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીખાભાઈ ધામેલિયાનું નામ જાણીતું છે. હાલ પત્ની રેખાબહેન, સંતાનોમાં જેનીશ અને જેમીની સાથે ભીખાભાઈ સુરતમાં જ રહે છે. સુરતમાં હીરાની 3 ફેક્ટરીઓ પણ છે. જેમાં આશરે 5 હજાર જેટલા રત્નકલાકારો કાર્યરત છે. 2012 દરમિયાન ભગવાન સોમનાથના દર્શન માટે ભીખાભાઈ પહોંચ્યા હતા. ત્યારે જ પ્રદક્ષિણા સમયે તેમનું ધ્યાન ખંડિત થયેલા ઓટલા પર પડ્યું હતું. બસ આ જ ખંડિત ઓટલાના સ્થાને માતા પાર્વતીનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ થયો હતો. જેનું આજે શિલન્યાસ થઈ ચૂક્યો છે. સફેદ મારબલના ઉપયોગ બાદ આશરે સાડા ત્રણ વર્ષમાં મંદિર પૂર્ણ નિર્માણ પામી જશે.