હવે ભાવનગર આરટીઓ કચેરીએ લાઈસન્સ પ્રકિયા માટે આવતા અરજદારોએ મુંજવણનો સામનો નહીં કરવો પડે કે કોઈને જે તે વિભાગ માટે પૂછવું પણ નહી પડે. કેમકે, આરટીઓ કચેરી દ્વારા અરજદારોની સગવડ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને અનુસરનાર અરજદારને લાઈસન્સ મેળવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી. તો અરજદારો માટે કરાયેલી અને ગુજરાતમાં પ્રથમવારની આ કેવી છે સુવિધા અહીં જાણીએ.
ભાવનગર આરટીઓ કચેરીએ લાઈસન્સ પ્રકિયા માટે અરજદારો માટે ખાસ વ્યવસ્થા કરાઇ
આરટીઓ તંત્રની આ પહેલથી અરજદારોનો અને અધિકારીઓને સમય બચશે
આપણે સામાન્ય રીતે શહેરોના રોડ પર કે હાઈવે પર વિવિધ દિશા નિર્દેશ કરતા, રંગોથી ચીતરાયેલા પટ્ટા જોયા હશે. અથવા તમે ઓફિસોમાં સૂચનાઓ આપતા વિવિધ બોર્ડ તો જોયા જ હશે. પરંતુ આવા જ દિશા નિર્દેશ કરતા પટ્ટા કોઈ સરકારી કચેરીમાં જોવા મળે તો? કદાચ તમને આ કલ્પના લાગશે પરંતુ હવે આ માત્ર કલ્પના રહી નથી. આ કલ્પના જેવી લાગતી વાતને ભાવનગર આરટીઓ કચેરીએ હકીકતમાં બદલી નાંખી છે અને એ પણ અરજદારોની સગવડ માટે.
ભાવનગર શહેરની આરટીઓ કચેરીનું ભવન તમે લર્નિગ લાઈસન્સ કઢાવવા માટે પ્રથમવાર પણ આ કચેરીની અંદર પ્રવેશશો તો પણ તમારે કશી મુંજવણનો સામનો નહીં કરવો, કે કોઈને કાઉન્ટર અંગે પૂછવું પણ નહીં પડે. ભાવનગર શહેરની આરટીઓ કચેરીના ફ્લોર પર વિવિધ કલરથી સ્ટ્રીપ દોરી છે. અરજદાર જેવો કચેરીમાં પ્રવેશે તે જગ્યાએ ગ્રીન સ્ટ્રીપથી માર્કિંગ કર્યું છે.
અરજદાર ગ્રીન સ્ટ્રીપને અનુસરે એટલે કાચા લાઈસન્સ માટેની જે જે પ્રોસેસ હોય છે તે તમામ કાઉન્ટર પર એ આગળ ધપતો જાય છે. આ જ રીતે જો કોઈ અરજદાર ફેઈલ થાય અને જો બીજી વાર ટેસ્ટ દેવા માટે આવે તો તેને બ્લૂ લાઈનને અનુસરવાની હોય છે. જે તમામ બીજીવારની ટેસ્ટના કાઉન્ટર સુધી અરજદારને પહોંચાડે છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર આરટીઓ દ્વારા અરજદારલક્ષી આ પ્રથમ પહેલ છે.
સામાન્ય રીતે આરટીઓ કચેરીમાં લર્નિગ લાઈસન્સ કઢાવવા માટે આવનાર અરજદારોએ ચાર તબક્કામાંથી પસાર થવાનું હોય છે. પરંતુ ઘણી કચેરીઓમાં ચોક્ક્સ દિશા નિર્દેશોના અને વ્યવસ્થાના અભાવે અરજદારો અસમંજસમાં મુકાય છે. પરંતુ ભાવનગર આરટીઓમાં અરજદારેએ આ સ્થિતિનો સામનો નહીં કરવો પડે અહીં લીલી સ્ટ્રીપ ઉપર ચાલનારા અરજદારને પહેલા તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સિગ્નલ દોરી જશે. આગળ જતા તે બાયોમેટ્રિક સિસ્ટમ માટે જશે અને ત્યારબાદ એલ એલ ટેસ્ટ આપવા જશે ત્યાથી પ્રિન્ટિંગ વિન્ડો તરફ જઈને પોતાનું લાયસન્સ મેળવી શકશે.
આરટીઓમાં દરરરોજ 180 જેટલા અરજદારો આ પટ્ટી ઉપરથી પસાર થશે આ ઉપરાંત બીજી બાજુ લગાવાયેલી બ્લુ પટ્ટી અગાઉ ફેલ થયેલા અરજદારોને માર્ગદર્શન માટે છે. આ બ્લૂ પટ્ટી તેમને રી ટેસ્ટ અને બાદમાં પ્રિન્ટિંગ ડેસ્ક તરફ લઈ જશે. આ વિભાગમાં દરરોજ 80 અરજદારો પસાર થઈ શકશે. ભાવનગર આરટીઓમાં અમલમાં મુકાયેલી આ સિસ્ટમને નાગરિકોએ આવકારી છે.
ભાવનગરમાં આરટીઓ કચેરી દ્વારા અમલમાં મુકાયેલી આ સિસ્ટમના કારણે અનેક અરજદારોને ફાયદો થશે. આરટીઓ તંત્રની આ પહેલથી અરજદારોનો અને અધિકારીઓને સમય બચશે. અને અરજદારોને કોઈ એજન્ટો ગેરમાર્ગે દોરી નહીં શકે તેટલું ચોક્કસ છે. એટલું જ નહી એક જવાબદાર તંત્ર ધારે તો અરજદારોને કેટલું મદદરૂપ થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.