ભાવનગર: અકવાડાના જત પરિવારના લોકો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે આ લોકોની પીવાના પાણીની સમસ્યા જળસંચયથી દૂર થઈ છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત મનપા દ્વારા આ વિસ્તારમાં આ પરિવારોને પાણી મળી રહે તેવા હેતુથી એક તળાવનું નિર્માણ કરાયું છે. આ તળાવમાં 15 MCFC પાણીનો સંગ્રહ થશે. જેથી હવે અકવાડાના જકાત પરિવારોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહી.
ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી આવેલા મુસ્લિમ પરિવારો અકવાડા અવાણિયા જેવા ગામોમાં ઘાસની સાટીમાંથી બનાવાયેલા મકાનોમાં રાજાશાહી સમયથી વસવાટ કરે છે. જત પરિવાર તરીકે ઓળખાતા આ પરિવારો છેલ્લા 135 વર્ષથી વસવાટ કરે છે. આ લોકો અહીંના મતદારો છે ત્યારે દરિયાકાંઠામાં વસવાટ કરતા 150 પરિવારો કાળઝાળ ગરમીમાં પાણી માટે કિલોમીટર ભટકતા હતા.
આ સાથે પીવાના પાણી માટે તેઓ વલખા પણ મારતા હતા અને તેમના માલ-ઢોર માટે પાણીની શોધમાં કિલોમીટર ભટકતા હતા. પરંતુ હવે મનપાએ જળસંચય અંતર્ગત મસમોટા તળાવનું નિર્માણ કરતા જકાત પરિવારોમાં પાણી મળશે તેવી આશા બંધાઈ છે. બીજી તરફ આ લોકોએ સરકારને કાયમી વસવાટ માટે મકાનની માગ કરી હતી.
આપને જણાવી દઇએ કે ભાવનગરમાં બહારથી આવીને વસેલા આ જત પરિવારના લોકો મુસ્લિમ કોમ્યુનિટીના છે અને તેમના તહેવારો પણ અલગ રીતે ઉજવે છે જો કે તેઓ કાયમી પાણી ની સમસ્યાથી ત્રસ્ત હતા પણ હવે તળાવનું નિર્માણ થતા તેમની આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા આ લોકો રાખી ને બેઠા છે.