પુખ્તવયની થવાનાં નવ મહિના બાદ પણ જાણીતા ધર્મગુરુ ભૈયુજી મહારાજની મોટી પુત્રી કુહૂ ‘સદ્દગુરુ દત્ત ધાર્મિક એવં પારમાર્થિક ટ્રસ્ટ’માં ટ્રસ્ટી બની નથી અને આના કારણે અનેક અટકળો ચાલી રહી છે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુહૂની સહમતી ન મળવાના કારણે આમ થયું છે. ટ્રસ્ટ દ્વારા જોકે કુહૂ પુખ્ત થઈ તે સાથે જ તેને ટ્રસ્ટી બનાવવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
આ માટે એક પ્રસ્તાવ મોકલીને તેની સહમતી પણ માગવામાં આવી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને આજે એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ કુહૂની સહમતી મેળવી શકાઈ નથી. મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં સૂર્યોદય પરિવારનાં સેવાદારોમાં ભૈયુજી મહારાજે રહસ્યમય સંજોગોમાં કરેલી આત્મહત્યાના વિવાદ વચ્ચે તેમનાં પત્ની ડૉ.આયુષી અને તેમની પુત્રી કુહૂને ટ્રસ્ટી બનાવવાના મુદ્દે આશ્રમ પરિવારના અલગ-અલગ જૂથોમાં વિરોધ થયો હતો.
વિરોધ અને સમર્થનની એ લડાઈ દરમિયાન કોલ્હાપુરના ડૉ.દિલીપ ભાંડવલકરના સ્થાને ડૉ.આયુષીને ટ્રસ્ટી બનાવી દેવામાં આવ્યા હતાં, પરંતુ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં થયેલી બેઠકમાં કુહૂ સગીરવયની હોવાના કારણે તેને ટ્રસ્ટી બનાવવાનો પ્રસ્તાવ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 22 સપ્ટેમ્બરે કુહૂ પુખ્ત થઈ ત્યારે તત્કાલિન સચિવ તુષાર પાટિલે કુહૂને ટ્રસ્ટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેની સહમતી માગવામાં આવી હતી.
કુહૂએ હજુ સુધી સહમતી ન આપતા વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ટ્રસ્ટી ડૉ.આયુષીનું કહેવું છે કે, કુહૂને ટ્રસ્ટી બનાવવા માટે અમે તમામ બંધારણીય પ્રક્રિયા પૂરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આગામી એક જુલાઈનાં રોજ ભૈયુજી મહારાજનું તિથિ અનુસાર પહેલો પુણ્ય સ્મરણ સમારોહ યોજાવાનો છે. હાઈ પ્રોફાઈલ સંત ભૈયુજી મહારાજે 12 જૂન, 2018ના રોજ 50 વર્ષની વયે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોનો દાવો છે કે, કુહૂ સલામતી અને સુરક્ષાના કારણોસર ટ્રસ્ટી બનવા ઈચ્છતી નથી. જે ટ્રસ્ટની કરોડો રૂપિયાની પ્રોપર્ટીનાં વિવાદમાં તેના પિતાએ જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે તે ટ્રસ્ટથી કુહૂ અંતર જાળવી રાખવા ઈચ્છે છે.