બોલીવુડના ભાઇજાન એટલે કે સલમાન ખાન ઉપર ગત 19 વર્ષથી કાળિયાર શિકારનો કેસ ચાલી રહ્યો છે. ગુરુવારે સલમાન ખન સામે કોર્ટમાં ગુમરાહ કરવાના મામલે સુનાવણી કરવામાં આવી હતી. સીજેએમ ગ્રામીણ કોર્ટે સુનાવણી માટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
સલમાન ખાન પર આરોપ છે કે તેણે કોર્ટમાં હાજર ન રહેવા માટે જે કારણો આપ્યાં છે તે ખોટા છે. તેના કારણે સલમાન પર કોર્ટે ગેરમાર્ગે દોરવાનો કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટમાં ગેરમાર્ગે દોરવાની વાત સાચી નીકળે તો સલમાન ખાનને 7 વર્ષની જેલ થઇ શકે છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
જણાવી દઇએ કે સલમાને કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે મારી તબિયત સારી નથી અને કાનમાં અસહ્ય દુખાવો થઇ રહ્યો છે તેથી હું સુનાવણીમાં હાજર નહી રહી શકું. તે જ દિવસે સલમાન ખાન કાશ્મીરમાં ફિલ્મ બજરંગી ભાઇજાનનું શુટિંગ કરી રહ્યો હતો. તેના કારણે વન અધિકારી લલિત બોડાએ અરજી કરીને સલમાન ખાન વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત સલમાનનું વધુ એક નિવેદન ખોટુ ગણાવવામાં આવી રહ્યું છે. કોર્ટે સલમાનને તેના હથિયાર જમા કરવાનું કહ્યું હતું ત્યારે સલમાને પ્રાર્થનાપત્ર રજૂ કરતાં કહ્યું હતું કે તેનું લાયસન્સ ગુમ થઇ ગયું છે. તે બાદ 8 ઓગસ્ટ 2003ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરાવ્યો કે તેનું લાયસન્સ ગુમ થઇ ગયું છે.
જ્યારે લાયસન્સ રિન્યૂ કરવા માટે અરજી કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી. જણાવી દઇએ કે ખોટા દસ્તાવેજ રજૂ કરવા માટે 7 વર્ષની જેલ થઇ શકે છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવી શકે છે.