આજકાલ માં-બાપ પોતાનાં સંતાનોને ભણાવવા માટે મોટું નામ ધરાવતી શાળાઓમાં પ્રવેશ અપાવવા દોડધામ કરતા હોય છે. તેનાથી બિલકુલ વિપરીત મોટા શહેરોમાં એક વર્ગ એવો પણ છે જે પોતાના સંતાનોને ભણાવવાના બદલે રોડ ઉપર ભીખ માંગવા છૂટા મૂકી દે છે અને આપણને પણ જ્યારે આવા બાળકોનો શહેરનાં ટ્રાફિક વચ્ચે કે ચાર રસ્તા પર ભેટો થાય ત્યારે તેમનો પીછો છોડાવવા માટે આડું અવળું જોવા લાગીએ છીએ.
ચાર રસ્તા પર કે ટ્રાફિક વચ્ચે ભિક્ષા માગતા બાળકોને જોઈને કદાચ તમને તેનાથી પીછો છોડાવવાનો વિચાર આવી જતો હશે. પરંતુ કેટલાક લોકોને આવા બાળકોને જોઈને તેમનું જીવનસ્તર સુધારવાનો પણ વિચાર આવતો હોય છે. આપણે જે બાળકોથી પીછો છોડાવવા મન બનાવતા હોઈએ છીએ એવા બાળકો (children) નો પીછો કરીને પરિવર્તનનાં ભેખધારી કેટલાક યુવાઓએ તેમને શિક્ષણ આપીને મુખ્યધારા તરફ લાવવાનો પ્રયાસ કર્યો છે. તો કોણ છે એ બાળકો અને કોણ છે એ બાળકોનાં સાચા શિક્ષકો. તે આ જોઈએ આ અહેવાલમાં.
આજકાલ માં-બાપ પોતાનાં સંતાનોને ભણાવવા માટે મોટું નામ ધરાવતી શાળાઓમાં પ્રવેશ અપાવવા દોડધામ કરતા હોય છે. તેનાથી બિલકુલ વિપરીત મોટા શહેરોમાં એક વર્ગ એવો પણ છે જે પોતાના સંતાનોને ભણાવવાના બદલે રોડ ઉપર ભીખ માંગવા છૂટા મૂકી દે છે અને આપણને પણ જ્યારે આવા બાળકોનો શહેરનાં ટ્રાફિક વચ્ચે કે ચાર રસ્તા પર ભેટો થાય ત્યારે તેમનો પીછો છોડાવવા માટે આડું અવળું જોવા લાગીએ છીએ. પરંતુ આવા બાળકોની ચિંતા સુરત (surat) ની વરાછાની એક સેવાભાવી સંસ્થાએ કરી છે.
શિક્ષણથી મળશે સ્વમાનઃ
આ સંસ્થાનાં યુવાઓએ આવાં બાળકોને શોધીને તેમને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું છે. વરાછાનાં યુવા જાગૃતિ ફાઉન્ડેશનનાં 22 જેટલા યુવક યુવતીઓ દિવસ દરમ્યાન તો નોકરી ધંધો કરે છે પરંતુ સવારે કે સાંજે નોકરીએ જતા પહેલા કે નોકરીએથી આવીને તુરંત જ નક્કી કરેલી જગ્યાએ આવા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ (education) આપે છે. આ સંસ્થાનાં યુવા કાર્યકરોનું માનવું છે કે, રસ્તે ભીક્ષાવૃત્તિ કરતાં બાળકોને પૈસા કે જમવાનું આપશો તો કદાચ તેમની એકાદ ટંકની ભૂખ ભાંગશે અને ફરી પાછો બીજા દિવસે એનો એ જ ક્રમ શરૂ થઈ જશે. પણ જો એને શિક્ષણ આપશો તો કદાચ તે આખી જિંદગી ભીખ માંગ્યા વગર સ્વમાન સાથે જીવી શકશે. આવા ઉમદા વિચારને આ ફાઉન્ડેશન શરૂ થયું છે. આ સંસ્થાનાં યુવાનો કોઈની મદદ લીધા વગર સુરતનાં સરથાણા વિસ્તારમાં ફૂટપાથ ઉપર કે બ્રિજની નીચે ખાલી જગ્યામાં કે બગીચાનાં કોઈ ખૂણે બેસી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય છેલ્લા 10 મહિનાથી કરી રહ્યાં.
યુવાઓનાં આ શિક્ષણલક્ષી સામાજિક પરિવર્તનનાં પ્રયાસોનાં ફળ હવે મળી રહ્યાં છે. આ ખુલ્લી પાઠશાળામાં આવતા મોટા ભાગનાં બાળકો લખતા વાંચતા શીખી ગયા છે. એટલું જ નહીં, સામાન્ય ગણતરી કરી શકે તેટલું ગણિત પણ તેમને આવડી ગયું છે. આ બાળકો સંસ્થાના યુવકોનાં આ પ્રયાસોની આ રીતે કદર કરી રહ્યાં છે. અહીંયા આવતા બાળકોએ જમાનો નાની ઉંમરે જ જોઈ લીધો હોય છે. આથી તેઓ તેમની ઉંમરનાં બાળકો કરતા વધારે સંવેદનશીલ અને ચપળ હોય છે. જો કે, તેમને તેમનાં રસ રુચિ અનુસાર ભણાવવું એ એક પડકાર હોય છે. કેમ કે આ બાળકોનાં આત્મવિશ્વાસની બુલંદીને યોગ્ય દિશા આપવી એ સહેલું કામ નથી. છતાં સંસ્થાએ કરેલા પ્રયાસો આ બાળકો માટે જીવનદિશા બદલનારા બની રહેશે તેમની પહેલને સો સો સલામ.