તાજેતરમાં પોલીસ તંત્રમાં IPS અધિકારીઓ દ્વારા થયેલાં ભ્રષ્ટાચાર અંગે ઘટસ્ફોટ કરનાર પૂર્વ IPS આર.જે. સવાણી (રમેશ સવાણી)એ ફરી BAPS સંસ્થાના વડા મહંત સ્વામી અને ઓસ્ટ્રેલિયાની આગને લઈને એક ફેસબુક પોસ્ટ મુકી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો અને હજારો નહીં પણ કરોડો પ્રાણીઓ મૃત્યુ પામ્યા. આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાના વડા મહંત સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી માળા કરી એટલે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડ્યો છે, એવું સવાણી પોસ્ટમાં જણાવે છે.
મહંત સ્વામીએ પ્રાર્થના કરી એટલે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડ્યો
મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 થી વધુ માણસોના મૃત્યુ થયા નહોત
મહંત સ્વામીનું હાલમાં સુરત મંદિર ખાતે વિચરણ છે. 5 જાન્યુઆરી 2020ની રાતે સ્વામીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ તરત બીજા દિવસે સુરત મંદિરની સવારની સભામાં BAPSના એક સાધુએ કહ્યું સ્વામીશ્રીએ કાલ રાતે જ ઓસ્ટ્રેલિયા માટે પ્રાર્થના અને માળા કરી ને આજે જ વરસાદ થયો. આ માહિતી BAPSના એક સંનિષ્ઠ હરિભક્તે નામ ન જણાવવાની શરતે અમને જણાવ્યું હતું.
આ ઉપરાંત આર. જે સવાણીએ મુકેલી પોસ્ટથી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે ‘સુરતમાં માળા કરે અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે ?’... આ ઉપરાંત સવાણીએ આ પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે, મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 થી વધુ માણસોના મૃત્યુ થયા નહોત.
BAPS Swaminarayan Sanstha નામના ફેસબુક પેઈઝ પર પણ આ વાત પોસ્ટ કરી છે. અંગ્રેજીમાં મુકાયેલી પોસ્ટ આવી છે. "Swamishri prays for a rapid end to the deadly Australian bushfire by turning the rosary from 10:53 to 11:32 pm" જેનો ગુજરાતી અર્થ 'સ્વામીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં લાગેલી ભયાનક આગનો ઝડપથી સુખદ અંત લાવવા 10.53થી 11.32 PM સુધી માળા ઝપી છે. (પ્રાર્થના કરી છે)'
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. આ આગના કારણે 48 કરોડ વન્યજીવના મોત નિપજ્યા છે. આગના કારણે સૌથી ખરાબ પ્રભાવ કોઆલા રિંછ પર પડ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં સૌથી વધુ કોઆલા રિંછ રહે છે. જેની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કંટ્રોલ નથી આવી શક્યો. આ આગના કારણે 15થી વધુ લોકોના પણ મોત નિપજ્યા છે. તો બીજી તરફ 1200થી વધુ મકાનો સળગીને રાખ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને તેની આસપાસના જંગલ વિસ્તારોમાંથી પ્રવાસીઓ અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ હેલિકોપ્ટર અને વિમાન તેમજ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવાઈ રહી છે. જોકે, થોડા અંશે જંગલો પર વરસાદ પણ થયો હતો.