બનાસકાંઠાના થરાદમાં બસ સ્ટેન્ડ પર ખાનગી વાહનોની દાદાગીરી જોવા મળી રહી છે. થરાદમાં ચાલી રહેલી જીપમાં મુસાફરો મોતની સવારી કરે છે. જીપ ચાલકો જીપમાં વધુ મુસાફરોને બેસાડી રહ્યા છે અને રસ્તા વચ્ચે જીપ મુકીને સ્થાનિકો અને વેપારીઓ સાથે દાદાગીરી પણ કરે છે.
આ ઘટનાને પગલે રસ્તામાં ટ્રાફિક થવાના કારણે વેપારીઓમાં ટ્રાફિકની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે જિલ્લા કલેક્ટર દ્વારા બજારમાં ભારે વાહન પ્રવેશ ન કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતા ભારે વાહનના માલિકો દ્વારા તંત્રના આદેશનો ભંગ કરીને વાહનો પ્રવેશ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે થરાદ અને વાવ એ અંતરીયાળ વિસ્તાર છે ત્યારે અહીંથી કેટલાય લોકો ખરીદી કરવા માટે નજીકના શહેરમાં જતા હોય છે ત્યારે ક્યારેક સરકારી બસની સાથે ખાનગી વાહનો પણ આ વિસ્તારમાં જોવા મળે છે અને લોકો તેનો અવર-જવર કરવા ઉપયોગ કરતા હોય છે. જો કે જિલ્લાના કલેક્ટર દ્વારા બજારમાં ભારે વાહનના પ્રવેશ પર પાબંધી ફરમાવાઇ છે તેમ છતા કેટલાક વાહન ચાલકો તેને અવગણીને બજારમાં વાહન ખડકી દેતા હોય છે.
જો કે સ્થાનિક ટ્રાફિક પોલીસ પણ આ વાહન ચાલકોને હટાવવાનું કાર્ય નહીં કરતા વાહનોના ખડકલા જામે છે અને વાહન વ્યવહાર ખોરંભે ચઢે છે અને પ્રજા હેરાન થાય છે ત્યારે આ પ્રશ્નનો નિવેડો તાત્કાલિક આવે તેવી માંગણી થરાદની પ્રજા દ્વારા કરવામાં આવી રહી છે. જો કે આ બાબતે હવે જોવું જ રહ્યું કે સ્થાનિક તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી આંખ આડા કાન કરે છે.