દાંતીવાડાના કોટડા ભાખર ગામમાં વહેલી સવારે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અહીં આખા ગામના લોકો દોડી આવ્યા હતા.
બનાસકાંઠાના દાંતીવાડાના કોટડા ભાખરમાં બની ઘટના
દૂધ દોહવાનું મશીન ચાલુ કરતા જ વીજ કરંટ લાગવાથી 11 ગાયોના મોત
પશુપાલકને અંદાજે 11 લાખ રૂપિયાનું નુકસાન
બનાસકાંઠાના દાંતીવાડાના કોટડા ભાખર ગામમાં આજે વીજ કરંટ લાગવાથી 11 ગાયોના મોત થયા હતા. દૂધ દોહવાના સમયે મિલ્કિંગ મશીનથી કરંટ લાગતા આ તમામ ગાયોના મોત થયા હતા. આ બનાવના પગલે બનાસડેરીના અધિકારી, દાંતીવાડા પોલીસ, GEBની ટીમ અને મિલ્કિંગ મશીનના ડીલર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પશુપાલકને અંદાજે 11 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
કેવી રીતે બની ઘટના?
પશુપાલકે 2 વર્ષ અગાઉ વાનસુન કંપનીનું મશીન પોતાની ગાયોને દૂધ દોહવા માટે વસાવ્યું હતું. ત્યારે આજે(સોમવાર) સવારે આ કંપનીના મશીનમાં મોટર સૉર્ટ થવાના બનાવથી 11 ગાયોના મોત થયા હતા. જ્યારે ઓટોમેટિક લોખંડની ગમાણો સાથે લોક થયેલી ગાયો તરફડીયા મારવા લાગી હતી અને એક પછી એક ગાય ભાંભરવા લાગી હતી. ત્યારબાદ ટપોટપ શંકર ગાયો મૃત્યુ પામી હતી. આ બનાવના પગલે પરિવાર અને સમગ્ર વિસ્તારમાં દુઃખનું વાતાવરણ ઉભું થયું હતું. બનાવની જાણ ગામમાં ફેલાતા ગામના લોકો એકઠા થયા હતા.
બાજુમાં રહેતા અમરાભાઇ જીવાભાઈ બેરાએ ગાયોના ભાંભરવાનો અવાજ સાંભળી દોડી આવ્યા અને ગાયોને છોડાવવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તેમને પણ કરંટ લાગ્યો હતો. જેથી તેમને અન્ય લોકોને મેઇન સ્વીચ બંધ કરવા કહ્યું હતું.