બનાસકાંઠા જિલ્લો વિવાદોના ઘેરામાં તંત્રની લાલિયાવાડીને કારણે ચર્ચામાં રહ્યા કરે છે. જે જિલ્લા માટે શર્મસાર વાત છે. જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ત્યારે વાવની રાછેણા દિડતીબુટર કેનાલમાં ફરી એકવાર ગાબડાની ઘટના બની છે.
કેનાલમાં 10 ફૂટનું ગાબડું પાડતા નર્મદા નિગમનું પાણી ખેડૂતરોમાં ફરી વળ્યું હતું. જેથી જીરાના પાકને મોટી માત્રામાં નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે કેનાલમાં સિંચાઈના પાણી માટે વીટીવીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.જે બાદ તંત્રએ કેનાલમાં પાણી છોડ્યું હતું. જોકે કેનાલમાં ગાબડુ પડતા હાલ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર હવે આ દિશામાં કેટલી સતર્કતા દાખવે છે.
આપને જણાવી દઇએ કે વારંવાર પડતાં ગાબડાંને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં ગાબડા પડવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના પહેલા પણ સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયાં હતાં. બોટાદના રાણપુરના રાજપરા પાસે કેનાલમાં ગાબડું પડતા પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં વહ્યો હતો.