ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં દિલ્હીમાં રમખાણો પર નિવેદન આપ્યું છે. ઘણા હંગામા બાદ બુધવારે લોકસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા થઇ. આ દરમિયાન વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી હિંસામાં જે લોકોના જીવ ગયા છે તેમના માટે દિલથી દુ:ખ વ્યક્ત કરું છું. જે માર્યા ગયા તેમના પરિવારોના પ્રતિ સંવેદના પણ વ્યક્ત કરવા ઇચ્છું છું.
હું દિલ્હી પોલીસની પ્રશંસા કરું છું, જેણે દિલ્હીમાં હિંસા ફેલાવા ન દીધી. 36 કલાક સુધી હિંસા ચાલી : અમિત શાહ
27 ફેબ્રુઆરીથી આજ સુધીમાં 700થી વધારે એફઆઇઆર નોંધાઇ, 2,647 લોકોની ધરપકડ કરવામાં આવી : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેને આજની ચર્ચામાં બોલવા ઇચ્છતો નથી. પરંતુ જે પ્રકારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રાખવાનો પ્રયાસ થયો તેથી સ્પષ્ટ કરું છું કે આ ઘટનાને રાજકીય રંગ આપવાની કોશિશ કરવામાં આવી.
CAA પર ગેરમાર્ગે દોર્યા
તેઓએ કહ્યું કે અમે લોકશાહી તરીકે ચર્ચા કરીને સંસદના બંને ગૃહે સીએએ (CAA)ને મતદાન કરીને પાસ કર્યું હતું. છતા તેને લઇને દેશભરમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેનાથી લઘુમતીઓની નાગરિકતા ચાલી જશે. તેઓએ કહ્યું કે સીએએ નાગરિકતા લેવા માટે નહીં પરંતુ આપવાનો કાયદો છે. લોકોને સીએએ વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા.
અમિત શાહે કહ્યું કે કેટલાક દિવસોથી જે પ્રકારે દેશ અને દુનિયામાં આ હિંસાને પ્રસ્તુત કરવામા આવી અને આજે પણ આ ગૃહમાં જે પ્રકારે તેને રાખવાનો પ્રયાસ થયો છે. હું ખુબ જ સંયમ સાથે તેને સ્પષ્ટ કરવા ઇચ્છુ છું. 25 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યા બાદ એક ઘટના નહોતી બની. અમે હોળી બાદ એટલા માટે કહ્યું કેમકે હોળી બાદ સાંપ્રદાયિક હિંસાનો ઇતિહાસ રહ્યો છે, અમે આ ઇચ્છતા નહોતા.
કોંગ્રેસનું ગૃહમંત્રીના ભાષણ દરમિયાન વૉક આઉટ
દિલ્હીની જનસંખ્યા 1.70 કરોડ છે. જ્યાં હિંસા થઇ ત્યાં 20 લાખ રહેવાસી છે. હું દિલ્હી પોલીસની પ્રશંસા કરું છું, જેણે દિલ્હીમાં હિંસા ફેલાવા ન દીધી. 36 કલાક સુધી હિંસા ચાલી. અમિત શાહે કહ્યું કે ઘણા સભ્યોએ એક સવાલ ઉઠાવ્યો કે દિલ્હી પોલીસ શું કરી રહી હતી? આ ગૃહની અંદર વિપક્ષનું દાયિત્વ છે કે સત્તા પક્ષ અને તેમના આધીન વિભાગોની કડક ટીકા કરે અને તેમની દેખરેખ રાખે અને ક્યાંક ભૂલ થાય તો તેને ગૃહમાં અને બહાર ઉઠાવે. આ દરમિયાન કોંગ્રેસે ગૃહમંત્રીના ભાષણ પર વૉક આઉટ કર્યું.
દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસા સમાપ્ત કરી
અમિત શાહે કહ્યું કે દિલ્હી પોલીસના માથે સૌથી પહેલી જવાબદારી હિંસા રોકવાની હતી. 24 ફેબ્રુઆરી 2020એ 2 વાગ્યાની આસ પાસ પહેલી સૂચના પ્રાપ્ત થઇ હતી અને અંતિમ સૂચના 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે પ્રાપ્ત થઇ. દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસા સમાપ્ત કરવાનું કામ કર્યું છે.
તેઓએ કહ્યું કે આપ મારા પર સવાલ ઉઠાવી શકો છો આ આપનો અધિકાર છે પરંતુ તથ્યોની સાથે તોડ-ફોડ કરવાનો કોઇને અધિકાર નથી. તેઓએ કહ્યું કે હું શ્રીમાન ટ્રમ્પના કાર્યક્રમમાં બેઠો હતો. તેમનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો અને મારા સંસદિય ક્ષેત્રમાં હતો.
મારી વિનંતી પર ડોભાલ ગયા : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે મેં જ અજિત ડોભાલને વિનંતી કરી હતી કે આપ ત્યાં જાઓ અને પોલીસનું મનોબળ વધારો, મારી જ વિનંતી પર તેઓ ત્યાં ગયા. કેટલાક લોકોએ કહ્યું કે સીઆરપીએફ, મિલિટ્રી મોકલવી જોઇતી હતી. 23 તારીખે 17 કંપની દિલ્હી પોલીસની અને 13 કંપની સીઆરપીએફની, એમ કુલ 30 કંપની ક્ષેત્રમાં પહેલા જ રાખવામાં આવી હતી.
તેઓએ કહ્યું કે 27 ફેબ્રુઆરીથી આજ સુધીમાં 700થી વધારે એફઆઇઆર અમે નોંધી છે. 2,647 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફુટેજ 25થી વધારે કોમ્પ્યૂટર પર એનાલિસિસ થઇ રહ્યું છે. અમે લોકોથી, મીડિયા પાસે હિંસાની ફુટેજ માંગી છે. અને મને કહેતા આનંદ છે કે દિલ્હીની જનતાએ હજારોની સંખ્યામાં પોલીસને વીડિયો મોકલ્યો છે. મને આશા છે કે અંકિત શર્માના મર્ડરનું રહસ્ય પણ વીડિયોમાંથી બહાર આવશે.