એવી કોઈ જનજાતિ નથી, જેની સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત ન કર્યો હોય : પીએમ મોદી
અસમમાં પીએમ મોદીની હુંકાર
અસમમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોકરાઝારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ પર જબરદસ્ત હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રાજ્યની જનતાને પાણી, વીજળી, ગેસ અને સડક જેવી મૂળભૂત સમસ્યા માટે તરસાવી દીધા હતા. અમે અહિયાં ચાના બગીચામાં કામ કરનારા કાર્યકર્તાઓની સાથે મહિલાઓના વિકાસ માટે ખૂબ કામ કર્યું છે. તેમણે કહ્યું કે આસામના લોકોએ કોંગ્રેસના મહાજૂઠથી બચવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે એવી કોઈ જનજાતિ નથી જેની સાથે કોંગ્રેસે છેતરપિંડી ન કરી હોય. કોંગ્રેસે વિશ્વાસઘાત ન કર્યો હોય. કોંગ્રેસે અસમને બોમ્બ, બંદૂકના રસ્તે નાંખી દીધું.
ડબલ એન્જિનની સરકારનો કર્યો દાવો
પીએમ મોદીએ કહ્યું કે ભાજપે બોડોલેન્ડની સંસ્કૃતિ અને ઓળખને સાચવી રાખવા માટે પ્રયાસ કર્યા છે. આ અમારી ફરજ છે અને અમે કામમાં લાગેલા જ રહીશું. છેલ્લા પાંચ વર્ષમાં અસમમાં ખૂબ જ તેજી સાથે વિકાસ થયો છે અને તે જ રીતે આગામી સરકારમાં પણ ડબલ એન્જિનની સરકાર પ્રદેશને આગળ લઈ જવા માટે કામ કરશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે અહિયાંના યુવાનોને ફૂટબોલ ખૂબ જ પસંદ છે. જૉ તેની જ ભાષામાં કહું તો લોકોએ આ વખતે કોંગ્રેસને રેડ કાર્ડ બતાવી દેવાનું કામ કર્યું છે. રાજ્યમાં વિકાસ, શાંતિ અને સુરક્ષા માટે લોકોને NDA પર પૂરો વિશ્વાસ છે.
ગમોસાના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો
પીએમ મોદીએ આ સભામાં બદરૂદ્દીન અજમલ દ્વારા ગમોસાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગઈકલે એક વીડિયો આખા અસમે જોયો છે જેમાં અસમની ઓળખ સમા ગમોસાનું અપમાન કરવામાં આવ્યું છે. પ્રદેશની જનતા કોંગ્રેસને તેની સજા જરૂર આપશે.