ઊંઝાના પૂર્વ MLA આશા પટેલે સમર્થકો સાથે બેઠક કરી હતી. બેઠકમાં આશા પટેલ ભાજપમાં જોડવા અંગે સમર્થકો સાથે ચર્ચા કરી હતી. ઊંઝાના બાલાજી રિસોર્ટમાં સમર્થકો સાથે આશા પટેલે બેઠક કરી હતી. જે દરમિયાન આશા પટેલે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે પાટણ ખાતે ભાજપમાં જોડાશે. સભામાં સમર્થકોના મંતવ્ય લેવાયા હતા જે દરમિયાન સમર્થકોએ આશાબેન પટેલને ભાજપમાં જોડાવાની મંજૂરી આપી છે. આવતીકાલે પાટણ ખાતે ભાજપ કલસ્ટર સંમેલન યોજાશે જેમાં જીતુ વાઘણી અને મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં તેઓ આવતીકાલે ભાજપમાં જોડાશે. જોકે આશાબેનની સાથે ઊંઝા નગરપાલિકા અપક્ષના સભ્યો પણ ભાજપમાં જોડાશે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબહેન પટેલનું નિવેદન આપ્યું હતું કે મારા વિશે ઘણી બઘી અફવાઓ ફેલાવાઇ રહી છે. કોઇએ 22 કરોડની વાત કરી તો કોઇએ પદની લાલચની વાત કરી.
આશાબહેન પટેલે પોતાના સમર્થકોની માફી માગી હતી. તેમણે કહ્યું કે કોઇને પૂછ્યા વિના નિર્ણય કર્યો માટે માફી માગુ છું. મે મારા સ્વમાન ખાતર બલિદાન આપ્યું છે.
કોંગ્રેસ સંગઠન પર આશા પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં વારંવાર અપમાનનો ભોગ બનવુ પડ્યુ છે. કોંગ્રેસના ભરતજી ઠાકોર મારા અપમાનના સાક્ષી છે. હું એવી દિકરી નથી કે પૈસા માટે વેચાઇ જાવ.
વધુમાં તેમણે કહ્યું હતું કે સમર્થકો કહેશે તે પક્ષમાં જોડાઇશ. હું રાજકીય માણસ નથી. તમે સમજી વિચારીને આદેશ આપજો. સ્વમાનના ભોગે હું કંઇ ચાલવી નહીં લઉ. હું એવી દિકરી નથી કે પૈસા માટે કંઇ પણ કરૂ.
ત્યાર બાદ સમર્થકોની મંજૂરી બાદ આશાબેન પટેલે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આશા પટેલના મોટા ભાગના સમર્થકો ભાજપ સાથે સંકળાયેલા છે.